1 Aurangzeb Road - Delhi | Vithalbhai Patel, Sardar Patel

1 Aurangzeb Road - Delhi

1 Aurangzeb Road - Delhi (સરદાર પટેલ અને બનવારી લાલ)
0

1 Aurangzeb Road - Delhi (સરદાર પટેલ અને બનવારી લાલ)

કેન્દ્રિય ગૃહમંત્રી બન્યા તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલ પાસે પોતાની માલિકીનું કહી શકાય તેવું કોઈ ઘર ન તો દિલ્હીમાં હતું કે ન તો ગુજરાતમાં અમદાવાદ, બારડોલી અને કરમસદમાં હતું. દિલ્હીમાં તેઓ હંમેશા ઘનશ્યામદાસ બિરલાના મહેમાન તરીકે બિરલા હાઉસમાં જ રહેતા. સરદાર અમદાવાદમાં ક્યારેક પોતાના સ્વજન અને મિત્ર એવા ડો. કાનુગા તથા ક્યારેક દાદાસહેબ માવળંકરના બંગલે રહેવાનું પસંદ કરતા. અને કોઈ વાર સાબરમતી આશ્રમ કે પછી ગુજરાત વિદ્યાપીઠના ઓરડામાં પણ સરદાર મણીબેન સાથે પોતાના બે જોડી કપડાની સાથે પતરાની પેટી અને રેંટિયો મુકતા.

સરકાર સામે લડત સમયે બિરલા હાઉસમાં રહેવું અને સરકારને ખસેડી કાર્યભાર સંભાળી બિરલા હાઉસમાં રહેવું તે સાવ જુદી વાત હતી. સરકારી રાહે તત્કાલ કોઈ ઉચિત રહેઠાણ ફાળવી દેવાય એવી કોઈ ગોઠવણો હજી સુધી થઈ નહોતી. જેથી સરદાર ઊંડે ઊંડે મનમાં ગડમથલતો રહેતી. એવામાં બનવારીલાલ કે જેઓ મૂળ દિલ્હીના ઉદ્યોગપતિ, અને રાજકારણમાં પણ સક્રિય રસ લેતા હોવાથી કોંગ્રેસ સાથે એક અનેરો નાતો બંધાયો હતો. જેમાં મુખ્યત્વે સરદારના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ સાથે ખુબજ મૈત્રીપુર્ણ વ્યવહાર બંધાયો હતો. વિઠ્ઠલભાઈ ધારાસભામાં સ્પીકર તરીકે કાર્યભાર સંભાળતા હતા તે સમયથી વિઠ્ઠલભાઈ સાથે સાથે સરદારના સંપર્કમાં બનવારીલાલ આવ્યા. બનવારીલાલ વિઠ્ઠલભાઈ પ્રત્યે જેટલો સદ્ભાવ અને સન્માન ધરાવતા તેવીજ લાગણી તેમને સરદાર પટેલ માટે હતી. વિઠ્ઠલભાઈ જ્યારે પોતાની તબીબી સારવાર કરાવવા માટે જીનિવા ગયા ત્યારે પોતાનો અંગત સામાન, દસ્તાવેજો અને પુસ્તકો બનવારીલાલને જ સોંપતા ગયા.

સરદારની મુંઝવણ બનવારીલાલ સમજી ગયા હતા. અને તેમણે સરદારને તેમની મુંઝવણનો ઉકેલ એવી રીતે સુચવ્યો કે સરદાર લાગણી સભર થઈ ના ન કહી શક્યા.

બનવારીલાલે સરદારને કહ્યું કે : સરદાર ! બિરલા હાઉસમાંથી સરકારી તંત્રનો વહીવટ સંભાળવો એ બે નાવમાં એક સવારી કરવા જેવુ થશે.. આપને જો વાંધો ન હોય તો... “ આટલુ કહી બનવારીલાલ અટકી ગયા અને સરદારના પ્રતિભાવની રાહ જોતા રહ્યા..
સરદારે પુછ્યુ : તો શું બનવારીલાલ ? પેટછુટી વાત કરો..
બનવારીલાલે કહ્યુ કે : ઔરંગઝેબ રોડ ઉપર મારો બંગલો આપને બધી જ રીતે અનુકૂળ રહે તેવો છે અને બીજી વધુ સારી વ્યવસ્થા ન ગોઠવાય ત્યાં સુધી આપ આ બંગલામાં રહો.”
અને આ રીતે ૧ ઔરંગઝેબ તરીકે ઓળખાતો આ બંગલો સરદારનું નવું નિવાસસ્થાન બન્યો. જ્યારે સરદાર સાહેબના પુત્રી શ્રી મણીબેન પટેલ રહેઠાણ બદલતા પહેલાં થોડા અંગત સામાન સાથે બંગલો જોવા આવ્યા ત્યારે બંગલાના ચોકીદારો જ્યારે સફેદ સાળી પહેરેલ, પતરાની બે પેટી, બે ત્રણ ડબ્બા અને થોડીઘણી ચીજવસ્તુઓ સાથે મણીબેન મોટરમાંથી ઉતર્યા ત્યારે તેમને જોતા જ રહી ગયા. સરદાર જેવ મહાપુરુષનો સરસામાન આ રીતે લાવે અને દેશના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાનનો આવો અને આટલો જ સામાનની તો તેમને કલ્પના જ નહોતી.

બીજા દિવસે સરદાર જ્યારે અહી રહેવા આવ્યા ત્યારે બંગલાની વિશાળતા જોઈ સરદારે મણીબેનને કહ્યુ કે: મણીબેન ! આટલા બધા ઓરડાઓની જો તમે સારસંભાળ લેવા જશો તો મારુ કામ ક્યારે કરશો? આ સાંભળી મણીબેન હસ્યા અને કહ્યુ: બાપુ મારે તમારુ કામ કરવા માટે ઓરડા જોઈએ છે. ઓરડા સંભાળવા માટે આપણે અહીયા નથી આવ્યા.. એમ કહી તેઓ સરદાર સાહેબના કાર્યક્રમ વિશે જાણકારી આપવા લાગ્યા.


No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in