Showing posts with label 15th December 1950. Show all posts
Showing posts with label 15th December 1950. Show all posts

Tribute to Sardar Patel - 15-12-2021

ð અંતિમ દિવસોમાં સરદાર સાહેબે એન. વી. ગાડગીલ પાસે શું વચન લીધું હતું.

ð સરદાર સાહેબના પૈત્રુક વતન કરમસદ બાબતે આદરણીય વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદીએ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે વર્ષ ૨૦૦૬, ૨૦૧૦ અને ૨૦૧૨ દરમ્યાન રાષ્ટ્રીય પ્લાનીંગ કમિશનમાં શું માંગણી કરેલ?

ð કરમસદ સ્થિત સરદાર સાહેબના પૈત્રુક ઘરની સાર સંભાળ રાખનાર સરદાર પટેલ ટ્રસ્ટ બાબતે સંસદમાં થયેલ ચર્ચાઓ 

આજે ૧૫-૧૨-૨૦૨૧ ભારત રત્ન શ્રી સરદાર પટેલની પુણ્યતિથિ, સરદાર સાહેબે પોતાના કાર્યોથી આઝાદી પછી ખુબ ટુંકા સમયમાં ભારતની વિશ્વ ફલક પર નોંધ લેવાઈ, સરદાર પટેલ પોતાના અંતિમ સમય સુધી કાર્યરત રહ્યા અને દેશ સેવા કાજે સમર્પિત રહ્યા. એન. વી. ગાડગીલે તેમના પુસ્તક ગવર્ન્મેંટ ઈનસાઈડમાં નોંધ્યુ છે કે એક સમય હતો કે જ્યારે લોકો મુક્તપણે કહેતા હતા કે કેબિનેટ બે જુથો વચ્ચે વિભાજિત થયેલ છે, એક જુથ વલ્લભભાઈની આગેવાની હેઠળ અને બીજુ જુથ નહેરૂની આગેવાની હેઠળ, પરંતુ હકીકતમાં આવા કોઈ જુથો નહોતા. ૧૧ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ સરદાર સાહેબના સચિવ શંકર નો ફોન એન. વી. ગાડગીલ પર આવ્યો અને જણાવ્યું કે સરદાર સાહેબ તેમને મળવા માંગે છે. આથી ૧૨ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ એન. વી. ગાડગીલ સરદાર સાહેબને મળ્યા હતા. મુલાકાત દરમ્યાન સરદાર સાહેબે ગાડગીલને જણાવ્યું કે “હવે હું જઊ છું.” તેમણે હળવી મુસ્કાન સાથે કહ્યું કે “હવે હું વધારે નહી જીવી શકું. તમે મને એક વચન આપો કે હું જે કહીશ તેનું તમે પાલન કરશો.” ગાડગીલે જણાવ્યું કે “પહેલાં મને કહો તો ખરા કે વાત શું છે.” પરંતુ સરદાર સાહેબ મારી સામે જોઈ ને જાણે વિચારતા હોય કે જાણે હું તેમને વચન નહી આપુ આથી તેમણે વચન માટે સતત આગ્રહ રાખ્યો. તેમના દિકરા ડાહ્યાભાઈ આ બધુ દરવાજે ઊભા રહી સાંભળતા હતા. જેવું મે સરદાર સાહેબને વચન આપી તેમની વાત માનવાની હામી ભરી કે તરત તેમણે મારો હાથ તેમના હાથમાં લઈ કહ્યું કે “તમારે નહેરૂ સાથે ગમે તેટલા મતભેદ હોય પરંતુ તમે તેમને છોડશો નહી.” મે તેમને ફરીવાર હા કહ્યુ અને સરદાર સાહેબની જાણે અંતિમ ઈચ્છા હોય તેમ તેઓને જાણે રાહત થઈ તેમ લાગ્યું. અને આખરે ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ તેઓએ આ દુનિયાને અંતિમ વિદાય આપી. તેમના મૃત્યુ બાદ મને જાણવા મળ્યું કે સરદાર પટેલે જગજીવન રામ, મુંશી,અને બલદેવ સિંહને જણાવ્યું હતુ કે તમે ગાડગીલની સલાહ મુજબ અનુસરજો.

સરદાર સાહેબને અન્યાયની વાતો તો ઘણી કરી અને ઘણીવાર આવી બાબતોને તુલ મળતું રહ્યુ અને તે બાબતે પડકારો પણ મળતા રહ્યાં પરંતુ આજે આપણે સરદાર સાહેબના વતન કરમસદને વારંવાર થતા અન્યાય વિશે વાત કરીએ, સરદાર સાહેબની પુણ્યતિથીએ તેમના પૈત્રુક વતનના વિકાસ અને તેના પૈત્રુક ઘરની સારસંભાળ બાબતે ઘણી રજુઆતો થવા છતાં પરિણામ શુન્ય. કરમસદ ગામનો રાજકીય ઉપયોગ ઘણો જ થતો રહ્યો છે. ચુંટણી ટાણે તો જાણે કરમસદ અને ચરોતરની ભુમિ તો એક રાજકીય તીર્થ સમાન બની રહે છે. અનેક સભાઓ, અનેક નેતાઓની મુલાકાતો, તેમના થકી થતા વાયદાઓ વગેરે નજરોનજર જોયા અને સાંભળ્યા છે. આજે તેમની પુણ્યતિથિના દિવસે થોડી વાત તેમના પૈત્રુક વતન કરમસદ બાબતે પણ કરવી જરૂરી છે. વર્ષ ૨૦૦૬માં ૫૨મી રાષ્ટ્રીય ડેવલોપ્મેંટ કાઉંસિલમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેંદ્રભાઈ મોદી (આદરણીય વડાપ્રધાન)એ JnNURM યોજનામાં સરદાર પટેલના વતન કરમસદ અને ગાંધીજીના વતન પોરબંદરને સમાવવા માટે રજુઆત કરી. વર્ષ ૨૦૧૦માં પણ કરમસદ અને ગાંધીનગરને JnNURM યોજના હેઠળ આવરી લેવા રજુઆત કરતા કહ્યું કે રાજ્ય સરકારે JnNURM યોજના હેઠળ સક્રિય પણે ભાગ લીધો છે, જેમા ૮૦ થી વધુ યોજના અને આશરે રૂ. ૭૦૦૦ કરોડ ચાર મિશનમાં ખર્ચ શહેરોમાં કરવામાં આવેલ છે. તાજેતરમાં પોરબંદરનું નામ JnNURM યોજનામાં પાંચમું શહેર બન્યું છે. અમે ભારત સરકારને વિનંતી કરીએ છે કે ગુજરાતનું પાટનગર ગાંધીનગર અને સરદાર વલ્લભભાઈ પટેલનું વતન કરમસદનો સમાવેશ આ યોજના હેઠળ થાય તેની વિનંતી ફરી એકવાર કરીએ છીએ. વર્ષ ૨૦૧૨માં ફરી એકવાર તેમણે જણાવ્યું કે છેલ્લા છ વર્ષથી વારંવાર રજૂઆતો કરવા છતાં પાટનગર ગાંધીનગર અને સરદાર પટેલના જન્મસ્થળ કરમસદ ટાઉનનો JnNURM હેઠળ સમાવેશ કરવામાં આવ્યો નથી. આમ સમયાંતરે કરમસદને દેશના નક્શા પર આગવું સ્થાન મળે તે માટે રજુઆતો થતી રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે જે મહાન વ્યક્તિએ એટલે કે સરદાર પટેલે આઝાદી પછી ભારતના નક્શાને આકાર આપ્યો અને જિન્હાના ખંડિત ભારતના સ્વપ્નને રગદોડી અખંડ ભારતની રચના કરી તેવા વ્યક્તિના પૈત્રુક વતનને ભારતના નક્શા પર આગવુ સ્થાન નથી મળી રહ્યું.

સરદાર સાહેબના યાદગાર સ્થળો બાબતે સંસદમાં ચર્ચાઓ તો કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ ઘણી થઈ અને ભાજપની સરકાર છે તે સમયે પણ ચર્ચાઓ થઈ અને આથી જ આ ચર્ચાઓના અમુક અંશો આજે વાગોળવાનું મન થઈ રહ્યું છે. જે સાંસદોએ આ ચર્ચાઓ કરી તેમને સાચેજ બિરદાવવા જોઈએ પરંતુ આજે પણ આ ચર્ચાઓ ફક્ત અને ફક્ત ચર્ચાઓ જ બની રહી. આ ચર્ચાઓને આકાર ન મળ્યો. સંસદમાં વર્ષ ૨૦૦૭ દરમ્યાન વડોદરાના સાંસદ એવા જયાબેન ઠક્કરે (ભાજપ) ૧૪-૦૮-૨૦૦૭ના દિવસે સંસદમાં પ્રશ્નોત્તરી દરમ્યાન જણાવેલ કે સરદાર પટેલ મેમોરિયલ – કરમસદને તેના નિભાવ અને અન્ય ખર્ચને પહોચી વળવા રૂ. ૫૦૦ કરોડની સહાય કોરપસ ફંડ તરીકે જરૂરી છે. આથી હું ભારત સરકારને વિનંતી કરૂ છું કે સરદાર પટેલ મેમોરિયલ માટે આ ફંડની ફાળવણી વહેલાંમાં વહેલી તકે થાય. આવી જ એક રજુઆત વડોદરાના સાંસદ બાલકૃષ્ણ ખાંડેરાવ શુક્લાએ (ભાજપ) તા. ૧૮-૦૮-૨૦૧૧ના રોજ જણાવેલ કે ગુજરાત સરકારે ૨૦૦૬માં કેંદ્ર સરકારને સરદાર પટેલ મેમોરિયલ – કરમસદ ખાતે નેશનલ રીસોર્સ સેંટર બને અને ત્યાં સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલની બધી જ જાણકારી ઉપલબ્ધ થઈ શકે તે માટે ૫ કરોડ કોરપસ ફંડની ફાળવણી કરવા માટે દરખાસ્ત કરવામાં આવેલ તો હું આ બાબતે ભારત સરકારને વિનંતી કરૂ છું કે આ ફંડની ફાળવણી કરવામાં આવે. આભાર. આજ રીતે તા. ૦૮-૦૭-૨૦૧૪ના રોજ અહેમદનગરના (મહા.) સાંસદ દિલિપકુમાર મનસુખલાલ ગાંધી (ભાજપ)એ નવી દિલ્હી સ્થિત સરદાર પટેલના નિવાસસ્થાનને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરાવ બાબતે જણાવ્યું કે સરદાર પટેલનું દિલ્હી સ્થિત ૧ ઔરંગઝેબ રોડ પર આવેલ નિવાસસ્થાનને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવા બાબતે સમયાંતરે માંગ થતી રહી છે. અને આજ સુધી રાષ્ટ્રના શિલ્પીના કાર્યોને નજરઅંદાજ કરી તેમના કાર્યોને મહત્વ નથી અપાતું. આથી રાષ્ટ્ર પ્રતિ પ્રેમ રાખનાર લોકોને દુ:ખ થાય તે સ્વાભાવિક છે. આથી આ દર્દને દુર કરવા માટે સરદાર પટેલના કાર્યોને નવી પેઢીને જાણકારી મળતી રહે તે માટે તેમના દિલ્હી સ્થિત ઘરને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવામાં આવે. તા. ૩૧-૦૭-૨૦૧૫ના રોજ મિર્ઝાપુરના (ઉ. પ્ર) સાંસદ અનુપ્રિયા પટેલ (અપના દલ – ભાજપ સહયોગી)એ જણાવ્યું કે હું એન.ડી.એ સરકારને વિનંતી કરૂ કે સરદાર પટેલનું ૧ ઔરંગઝેબ રોડ, દિલ્હી સ્થિત નિવાસસ્થાન ભારત સરકાર પોતાના હસ્તક લે અને તેને રાષ્ટ્રીય સ્મારક તરીકે નિર્માણ કરે. આભાર.

સરદાર સાહેબને અન્યાય થયો કે નથી થયો તે વાત કરતા પણ પહેલાં આપણે વિચારવું જોઈએ કે સરદાર સાહેબના યાદગાર સ્થળોને કેવીરીતે વિક્સાવી શકીએ. જેથી આવનાર પેઢી તેમના વિશે વધુ ને વધુ જાણકારી મેળવી શકે. 




sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

TRIBUTE TO SARDAR PATEL

TRIBUTE TO SARDAR PATEL

ખરી પડેલો ચમકતો તારો – હિંદના લાડીલા “સરદાર”


“મારી ઈંતેજારી તો જ્યા મહાત્મા ગાંધીજી, કસ્તુરબા અને મહાદેવ દેસાઈ ગયા છે ત્યાં જવાની છે. છતાં થોડાંક વર્ષ આ દુનિયામાં હજુ રહેવા ઈચ્છું છું. તેઓની ઈચ્છાથી જ તેઓનું કાર્ય પુરૂ કરવા હું અહી રહ્યો છું.” – સરદાર પટેલ – ઓક્ટોબર ૩૧મી ના ૭૫મી વર્ષગાંઠની આગલી સાંજે સાબરમતી આશ્રમમાં આ ઉદ્દ્ગારો કાઢ્યા હતા.

અને આજે તેઓએ સૌને અખંડ ભારતની ભેટ આપીને શુક્રવાર તા. ૧૫-૧૨-૫૦ના રોજ સવારે ૯ કલાક અને ૩૭ મિનીટે સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ મુંબઈમાં દેહ છોડી ચાલ્યા ગયા. અને પોતાની ઈચ્છા પુર્ણ કરી.  અવસાનના આશરે દોઢ મહિના પહેલા જ તેઓ ગુજરાત આવ્યા હતા. તે વખતે તેમની ૭૬મી વર્ષગાંઠ ઉજવાયેલ તે સમયે સરદાર સાહેબની તબિયત ઢીલી હોવા છતાં સરદાર સાહેબ દરેકને મળવાનો પ્રયત્ન કરતા હતા. અને આખું ગુજરાત જાણે એક મહોત્સવ ઉજવી રહ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. ગુજરાતને તેમના દર્શન થયા અને જતા પહેલાં તેઓ પોતે પણ આંખ ભરીને તેઓ પોતાની કર્મભૂમી અને ત્યાંના તેમના જુના સાથીઓને જોઈ શક્યા.

 ગુજરાતની ફુલપાંખડી સ્વીકારીને તેઓ અમદાવાદ થી દિલ્હી ગયા ત્યારે તેમને મનમાં એમ હતું ખરુ કે, હજી ગુજરાતના બીજા ભાગોમાં જવાનું બાકી છે તે ફરી જાન્યુઆરીમાં કરીશ. એમ બે હપ્તે ગુજરાતનાં સૌ ભાઈ બહેનો અને કાર્યકર્તાઓને મળવાનો ખ્યાલ હતો. પરંતુ દિલ્હી ગયા પછી તેમની તબિયત વધુ બગડી અને તેમને મુંબઈ લાવ્યા. અહી આવીને ૨-૩ દિવસ તો સારૂ લાગ્યું એટલે સૌને થયું કે, મુંબઈની હવા તેમની તબિયતમાં સુધારો લાવશે. પરંતુ લોકોને ક્યાં ખબર હતી કે ઓલવાતા દીવાનો એ છેલ્લો ચમકારો હતો. ગુરૂવાર રાત પછી તેમની તબિયત કથળી અને શુક્રવારે સવારે તેમણે દેહત્યાગ કર્યો.

દેશ માટે આઘાત જનક સમાચાર અને કોઈને પણ આંચકો લાગે તેવા સમાચાર હતા. ૧૯૪૭થી દેશનું જે ઘડતર થઈ રહ્યુ હતું તેમા સરદાર એક આધાર સ્તંભ હતા. અને ગુજરાતે તો પોતાનું શિરછત્ર ગુમાવ્યું. ૧૯૧૫થી શરૂ થયેલો યુગનો અંત આવ્યો.

સ્વરાજ લાવવા માટે શું કરવું? લડવું કેવી રીતે? પ્રજાને તે વિષે તાલીમ શી રીતે આપવી? આ સવાલ ફક્ત સરદાર સાહેબનો જ નહોતો પરંતુ ૧૯૧૫ પછી તો કોંગ્રેસ અને આખા દેશનો હતો. અને એટલેજ ગાંધીજી અને તેમની સાથે સરદાર એકદમ અખિલ હિંદની ભુમિકામાં પહોચી ગયા. સરદારે ગુજરાતનું કામ સંભાળી લઈ ગાંધીજીને દેશના વ્યાપક ક્ષેત્રને માટે નવરાશ કરી આપી. ગાંધીજીના ગુજરાતના બધાંજ કામો સંભાળવા એ સરદારનું સહજ કાર્ય બની ગયું. અને કેમ ન બને આખરે ગુજરાતનો દીકરો ગુજરાતનો આપ્તજન બને તે સ્વાભાવિક છે. તેમણે ગુજરાતની પ્રાંતિક સમીતીઓ દ્વારા નાના મોટા બધા સેવાકાર્યો આ સંસ્થાની પાંખ તળે રહી હુંફ મેળવતા થયા. અને ગુજરાતમાં એક સર્વ સમન્વિત ઢબે રચનાત્મક કાર્યક્રમ કરવા માટે તંત્ર ઊભું થઈ શક્યું. વલ્લાભભાઈની આ સંગઠન શક્તિ અને કુટુમ્બભાવ દ્વારા જ ગુજરાત પોતાના સેવાકાર્યો દ્વારા પ્રજાની તાકાત તથા પોતાનું હીર પ્રગટ કરી શકાય એ ખાતરી આપી શક્યુ.

આ બધામાં એક મોટી શરત હતી કે તેને જે ન સમજે તે સરદારને પણ ન સમજી શકે અને એ શરત હતી સ્વરાજની. સ્વરાજ મેળવવા માટે આત્મશુધ્ધિ કરીને પ્રજાને સ્વાવલંબી ને બળવાન કરવાની હતી. જે કાર્ય કે તેને કરનાર વ્યક્તિ કે સંસ્થા ગાંધીજીના મૂળમંત્રને ન સમજે તેને સરદારની નજરમાં સ્થાન ન મળી શકે. સરકાર પોતાની ન હોવા છતાં પ્રજા પોતાના આપબળે કામ કરી શકે છે તે સરદારે સાબિત કરી બતાવ્યું. પ્રત્યક્ષ જે કાંઈ જરૂર હોય તેને મોજુદા સાધનો વડે પહોચી વળીને પણ પ્રજાની તાકાત વધારવી, જેથી સૌ સારા વાના થશે, તે તેમની બાળપણની સાદી સમજ છે. અને સામાન્ય ગુજરાતીની પણ વહેવાર માટે એજ સમજ હોય છે. તેથી જ સરદારને ગુજરાતના બધા વર્ગો પોતાના કહી શકતા હતા. અને આ સમજને ગાંધીજીના આદર્શ ખાતે અર્પણ કરી.

મગનભાઈ દેસાઈએ તો તા: ૨૧-૧૨-૫૦ “હરીજન બંધુમાં” તો ત્યાં સુધી કહ્યુ છે કે “એમના જેવા પુરુષોની જ્યારે ખુબ જરૂર છે ત્યારે તે ગયા. પણ ટીળક મહારાજ પેઠે એમને ખાતરી હતી કે, હિંદમાતાની કુખેથી જોઈતા નરવીરો મળ્યા જ કરશે. એવા આપણે સૌ બનવા મથીને આ વીર દેશભક્તનું તર્પણ કરી શકીએ. તેઓતો અત્યારે એમના મહાદેવ અને બા બાપુની પાસે, જેમ જેલમાં જોડે હતા તેમ, અનંતતાની કેદમાં પહોચી ગયા હશે. અને ત્યાં રહ્યા એમેય કદાચ પુછતા હોય, કેદમાં તમે દુનિયા પર રહેલા છો કે અમે? એમનો જીવનપાઠ યાદ કરીએ તો સરદાર સદાય આપણી પાસે જ છે. એ પાઠ આપીને સરદાર અમર થયા છે.

તેમના અવસાનથી હિંદની પ્રગતિમાં એક જબરદસ્ત ફટકો લાગ્યો છે. માંડ માંડ મહાત્માની ખોટથી થયેલ આઘાતમાંથી હિંદની પ્રજા હજુ ઉભી થઈ શકી છે ત્યાંતો સરદાર, જેઓ તેમની ખોટ સુંદર રીતે પુરી કરી રહ્યા હતા અને પ્રેમપુર્વક દેશને એક આકાર આપી રહ્યા હતા તેમને પણ ઈશ્વરે છીનવી લીધા. આધુનિક ઈતિહાસથી જેઓ વાકેફ છે તેઓ સારી રીતે જાણે છે કે છેલ્લા પાંત્રીસ વર્ષથી સરદારે દેશની અથાગ સેવાઓ બજાવી છે, ધીરજ, હીંમત, દ્રઢતા, ગમે તેવી પરીસ્થિતીમાં મગજનું સમતોલપણું, તીક્ષ્ણ બુધ્ધી, સ્પષ્ટવકતા, ગંભીરતા અને છતાં અતિ રમુજી સ્વભાવ, કે જેણે ગાંધીજીને અનેકવાર પેટ દુ:ખે ત્યાં સુધી હસાવ્યા હતા, એ સઘળા અને બીજા અનેક સરદાર પટેલના અગ્રગણ્ય ગુણો હતા. તેમની પ્રથમ મહાન સિધ્ધીઓ ખેડા અને બારડોલીમાં થઈ હતી, જ્યાં જાતે ખેડુત વર્ગના હોઈ, તેઓએ, બ્રિટિશ સરકાર તરફથી ખેડુતો પર અમાનુષી જમીન મહેસુલ નાખી તેઓની કાયમની કંગાલ દશા કરી મુકવામાં આવી હતી, તેની સામે અહિંસક મુક્તિસંગ્રામ કરી તેમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. તેમની વાણીમાં તો મરેલ માણસને પણ જાગ્રુત કરીદે તેટલું જોર હતું. અને આખા ગુજરાતે તેમને સરદારનો ઈલ્કાબ આપ્યો હતો. આજે પણ તેમને સરદાર તરીકે જ ઓળખીએ છીએ.



અમદાવાદની મ્યુનીસીપાલીટીના પ્રમુખ તરીકે તેમણે પોતાની અજબ વહીવટશક્તિ બતાવી આપી હતી. શહેરમાં તેમણે એટલા સુધારા કર્યા કે બ્રિટીશ રાજ્યમાં જે એક નરક સમાન હતું તેને માનવ વસવાટને લાયક શહેર બની ગયું હતું. સરકાર સામે જ્યારે જ્યારે ઝુંબેશ ઉઠાવવાનો પ્રસંગ આવેલો ત્યારે એ કાર્ય સફળતાથી પાર પાડવા ગાંધીજી સરદાર પર પુર્ણ વિશ્વાસ રાખતા હતા. સરદાર પટેલના કાર્યોની ખ્યાતી તો એટલી હતીકે ઈંગ્લેંડથી બ્રિટીશ સરકાર પણ આ સરદાર કોણ છે? તેની તપાસ કરવા માટે બ્રિટીશ સરકાર ભારતમાં પત્રો લખીને તપાસ કરાવેલ.

૧૯૪૨માં કસોટીનો ખરેખરો વખત આવ્યો, જ્યારે આખા દેશમાં ત્રાસ પ્રવર્તન ચાલ્યું અને દેશના નેતાને વગર તપાસે કેદખાનામાં પુરી દેવામાં આવ્યા. સરદાર વલ્લભભાઈ પટેલની દ્રઢતા જેવીને તેવીજ રહી. તેમની ઉમર તથા કેદમાં સખત જીવન ગાળવું પડેલું હોવાથી તેમની તંદુરસ્તી ઉપર ખુબજ માઠી અસર થઈ હતી. પરંતુ તેમના લોખંડી મનોબળ, કાર્યશૈલી તથા હિંમતની સાચી પરીક્ષા તો હજુ થવાની બાકી હતી. તેમાં પણ તેઓ પાર ઉતર્યા કે મહાન બ્રિટીશ સલ્તનતના ભડવીરોને તાજુબી થયા વિન નહી રહી હોય. ૧૯૪૭માં બ્રિટીશ સરકારે છેવટે હિંદ છોડી જવાનો ઠરાવ કર્યો. પરંતુ છોડતાં પહેલાં તેણે હિંદને શક્ય હોય તેટલું નુક્સાન કર્યુ અને તેના ટુકડે ટુકડા થાય તેમ કરવાને માત્ર નીચે દારૂગોળો જ મુકવાનો બાકી રખ્યો હતો. તેમની તો એટલી ખાત્રી હતી કે જો આમ થાય તો છ મહીનામાં હિંદ બ્રિટીશ સરકારને રાજ પાછું સોંપવાને મજબુર થઈ પગે પડતું આવશે. બસો વર્ષની કારકીર્દીમાં હિંદને છિન્નભિન્ન કરી નાખ્યુ હતું. અને એથી જ ચારસો દેશી રાજ્યોમાં ભાગલા પાડવામાં આવેલ હતા, અને દેશી રજવાડાઓ બ્રિટીશરોને જ વફાદાર રહેવા માટે એક વણલખી ફરજ પાડેલ હતી. એજ કારણથી હિંદુ અને મુસ્લીમ વચ્ચે કોમી ભાગલા અને જાતી અને જ્ઞાતી ભેદોને પોષવામાં આવી રહ્યા હતા. જતાં જતાં બ્રિટીશ સરકારે હિંદના પણ ભાગલા કરવામાં કાંઈ બાકી રાખ્યું નહોતું. અને જેના પરીણામ રૂપે હિંદ અને પાકિસ્તાનના ભાગલા પડ્યા.

સરદાર પુર્ણ યશસ્વીરીતે ઝળકી રહ્યા હતા તે વખતે જવાહરલાલ જેવા નેતાઓ પણ ઢીલા પડી ગયા ત્યારે સરદાર પટેલ એકલા જ પર્વતની દ્રઢતાથી પરીસ્થિતીનો સામનો કરવા ઉભા રહેલા હ્રદય લોહીના આસું પાડી રહ્યું હતુ અને તેમ છતાં તેઓની આંખોમાં જરાય પણ ઉદાસીનતા જોવા મળતી ન હતી કદાચ આ ઉદાસીનતાનો ભાસ ભારતના લોકોને ન થાય એટલે જ તેઓ પોતાના આસુંઓ ને વહેવા નહોતા દેતા. હિંદનો નાશ કરવાના બ્રિટીશ સરકારના દરેક કાવતરાને પોતાની કુનેહથી તોડતા ગયા અને દેશના સમગ્ર રજવાડાઓને સમજાવટથી હિંદમાં જોડાવા માટે રાજી કર્યા. અને હિંદ એક સંયુક્ત દેશ બની ગયો. આવા સરદાર હતા આપણા જેમની ખોટ આજે પણ વર્તાય છે.

સત્યાગ્રહો વખતે તેમણે દેશને પ્રેરણા આપનારા કેટલાક ટુચકાઓ કહ્યા તેમાના અમુકતો એવા છે કે જે વાંચીને પણ આપણા રોમ રોમમાં દેશ માટે લડવા તૈયાર થઈ જાય એવા છે...
સત્તાધીશોની સત્તા તેમના મ્રુત્યુ સાથે જ સમાપ્ત થાય છે. જ્યારે મહાન દેશ ભક્તોની સત્તા તેમના મ્રુત્યુ પછીથી જ ખરો અમલ ચલાવે છે.
    બે ટીપાં ગંગાજળ નાખવાથી ગટર પવિત્ર નહી બને... પ્રજાની ઉન્નતીનો આધાર તેની હિંમત, તેના ચારિત્ર, અને તેની ભોગ આપવાની શક્તિ ઉપર રહેલ છે.
    જુલ્મી રાજનીતીના અમલદારોની દેખરેખ નીચે જે શિક્ષણ અપાય છે તે લેવું તમારે બંધ કરવું જોઈએ. એમાંજ તમારૂ સ્વમાન જળવાયેલું રહેશે. એવા શિક્ષણથી તમારૂ કશુ ભલુ નથી થવાનું. તમારે સાહસીક થવાનું છે. બધા કરતા દેશના શ્રેયનો આધાર તમારાજ સાહસ પર રહેલો છે. દેશને સ્વતંત્ર બનાવવા તમેજ મદદ કરી શકશો.

© all rights reserved
SardarPatel.in