Showing posts with label jayantilal amin. Show all posts
Showing posts with label jayantilal amin. Show all posts

Sardar Patel and Jayantilal Amin

Sardar Patel and Jayantilal Amin

જયંતિલાલ અમીનનો પશ્ચાતાપયુક્ત પત્ર અને સરદાર પટેલનો જવાબ

જયંતિલાલ અમીનનો તા : ૨૫-૧૧-૧૯૩૮ના રોજનો સરદારશ્રીને લખેલ પત્ર
પુજ્ય બાપુ,

આ પત્ર લખતાં પણ શરમાઉ છું કારણ કે કોઈ ગ્રહદશાના બળે આપના સંબંધમાં મારાથી એક એવું અપકૃત્ય થયુ છે કે હું આપની દયાને પાત્ર નથી રહ્યો. મે મારી ઊગતી જુવાનીથી આજ સુધી આપને દેવ તરીકે પૂજ્યા છે. આપના પ્રત્યે મારી કેવી લાગણી છે તે મે બારડોલી પ્રસંગના પાટીદાર માનપત્રમાં ઠાલવી છે.

આજે આપ માનશો નહી છતાં કેવલ પ્રભુ સાક્ષી છે કે મારે હાથે આપના સંબંધમાં જે જે અપકૃત્યો થયા છે તે કેવળ મારી મરજી વિરુધ્ધ થયાં છે. છેલ્લાં બે વર્ષથી હું પશ્ચ્યાતાપના જે અગ્નિમાં બળી રહ્યો છુ એની પીડા કેવળ મારુ હ્રદય સમજી શકે છે. મારી  જીવનસંધ્યાને આરે હું સર્વનાશ્ને આરે ઊભો છું ત્યારે મારા દિલમાં એક જ ઈચ્છા ઘર કરી રહી છે કે આપને ચરણે પડીને આપની ક્ષમા માગી લેવી. એક જ વખત આપ આપની સમક્ષ આવવાની આજ્ઞા આપો અને સ્વમુખે “તને ક્શમા આપી” એમ સંભળાવો ત્યારે જ મને શાંતિ વળશે.

ન ધારેલું અને ન થવાનું મારે હાથે થઈ ગયું છે. છેલ્લા બે વરસ દરમ્યાન મે ઘણું સહન કર્યુ છે. પત્ની ગુમાવી, ધંધો ગુમાવ્યો, પ્રતિષ્ઠા ગુમાવી અને શરીરસંપંતિ પણ ગુમાવી છે. મને તેનુ કાંઈ નથી. મે તેને પ્રભુએ દિધેલ શિક્ષા તરીકે માની છે. અને હજીયે વેઠવુ પડે તે હસ્તે મુખે વેઠવા તૈયાર છું. પણ આપની સન્મુખ આવીને માફી માગવાની અને મેળવવાની જીવનની એક જ આકાંક્ષા રહી છે.

છેલ્લા બે વર્ષથી મે જે સાંભળ્યુ છે, જાણ્યુ છે અને જોયુ છે તે ઉપરથી હંમેશા મને લાગ્યું છે કે મારી બધી મૂર્ખાઈ છતાં પણ આપના હ્રદયમાં મારે માટે દયાની લાગણી રહી છે અને તેથી જ્યારે જ્યારે કોર્ટમાં આપનો સામનો કરવો પડ્યો છે ત્યારે ત્યારે મને અપાર દુ:ખ થયું છે.

આથી આપના ફુરસદના સમયે આપની સમક્ષ આવવાની આજ્ઞા કરશો તો મારા હ્રદયને શાંતિ થશે.

એક પુત્ર પિતાની સમક્ષ ગમે તે સમયે આવી શકે છે તે હું જાણું છુ. હું પણ આપનો પુત્ર જેવો છું. એક પિતા ગેરરસ્તે ચડેલા પુત્ર પર પણ દયાની લાગણી રાખે છે અને એવી લાગણી સિવાય મારી આપને કશી વિનંતી નથી.

આપનો આજ્ઞાંકિત,
જયંતીલાલ અમીનના પ્રણામ.

સરદાર પટેલનો તા: ૨૮-૧૧-૧૯૩૮ના રોજનો જયંતીલાલ અમીનને લખેલ પત્ર

ભાઈ જયંતીલાલ,

તમારો તા. ૨૫-૧૧-૧૯૩૮નો કાગળ મળ્યો. છેલ્લા બે ત્રણ વર્ષથી તમારુ વર્તન હું મુદ્દલ સમજી શક્યો નથી. તમારા દિલમાં ખરેખર પસ્તાવો થયો હોય તો ગઈગુજરી વિસરી જઈ નવેસરથી તમારું જીવન શરુ કરી શકો છો. માણસ ભૂલને પાત્ર છે. પણ જેને ભૂલનું ભાન થાય છે. અને ભૂલ સુધારવાનો નિશ્ચય કરે છે તેને ઈશ્વર સાથ આપે છે.

તમારા ઉપર જે વીતી તે માટે તમારા પ્રત્યે દયાભાવ સિવાય શું હોઈ શકે? મને રોષ રાખવાની ટેવ નથી.

પાપનો પશ્ચ્યાતાપ એજ માણસને સત્ય માર્ગ દોરી શકે છે. કોઈ વખતે નવરો હોઈશ ત્યારે મળી શક્શો.

લિ.
વલ્લભભાઈના વંદે માતરમ

Sardar Patel and Jamnalal Bajaj

Sardar Patel and Jamnalal Bajaj

સરદારશ્રીના જીવનને લગતી એક ઘટના જે ૧૯૩૭માં ઘટેલ તેમાં મુખ્યત્વે શ્રી જમનાલાલ બજાજની ગેરસમજના કારણે બન્નેને થયેલ ભારે મનદુ:ખ એ એક મહત્વની ઘટનાઓમાંની એક છે. આ ગેરસમજ મુખ્યત્વે નરીમાન પ્રકરણમાંથી ઉપજેલ. સમયાંતરે સ્પષ્ટીકરણ થતાં બન્ને વચ્ચે તે મનદુ:ખ પણ ઊડી ગયેલ. નરીમાન તરફી પત્રોએ એવો પ્રચાર ચાલ્યો હતો કે તેના વંટોળમાં ભલભલા સપડાયા. સરદારશ્રીના પીઠબળ વગર નરીમાન મુંબઈ રાજ્યના મુખ્યપ્રધાન બની શકે તેમ નહોતું. અને આ કારણે જ તેમણે સરદારશ્રી પાસે મદદ માંગેલી. કેંદ્રીય ધારાસભાની ચુંટણી સમયે નરીમાન મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હોવા છતાં મહાસભાના સત્તાવાર ઉમેદવાર માટે મુશ્કેલીઓ ઊભી કરી હતી અને તેથી જ મહાસભાને તે જગ્યા ગુમાવવી પડી હતી. અને એટલે સરદારશ્રીએ પોતાનો ટેકો નરીમાનને આપ્યો નહોતો. જે વિરોધીઓ કહેતા થાકતા નહોતા કે સરદારશ્રીએ કાવાદાવા કરીને નરીમાનને મુખ્યપ્રધાન બનવા ન દીધા તે વાતોને રદીયો બહાદુરજીના નિશંકપણે આપેલ ચુકાદાથી મળ્યો. ૧૯૩૭-૩૮માં નરીમાન પ્રકરણ જે રીતે ચાલેલું તે જોતાં તો બીજો કોઈ સામાન્ય માણસ સરદારશ્રીના સ્થાને હોત તો તે ઝુંબેશ સામે ટકી શક્યો ન હોત. તે સમયે તો સરદારશ્રીના જાહેરજીવનને પણ તોડી પાડવા અનેક કાવાદાવાઓ થયેલા અને સરદારશ્રીના કાગળો, તાર સુદ્ધા પણ મેળવવાના પ્રયત્નો કરવામાં આવેલા. હકીકતમાં તો બિનકોંગ્રેસી ઉમેદવાર કાવસજી જહાંગીરના કારણે કોંગ્રેસ ઉમેદવારની હાર થઈ હતી.
Sardar Patel & Jamnalal Bajaj

કાવસજી જહાંગીર બાબતે એક નોંધપાત્ર વાત જાણવા જેવી ખરી કે તે વર્ષ ૧૯૪૬માં કેંદ્રીય ધારાસભાના પ્રમુખપદ માટે શ્રી માવળંકર સામે ઊભા થયા હતા અને તેમણે રાષ્ટ્રીય કટોકટી સમયે મુસ્લીમ લીગનો ટેકો મેળવ્યો હતો.

પોતાના ભાઈ જેવા જમનાલાલજીની ગેરસમજથી સરદારશ્રીને ઊંડો ઘા લાગ્યો હતો અને જમનાલાલજીનો રસ્તો ખુલ્લો કરી દેવા માટે એમણે ગાંધી સેવા સંઘમાંથી પણ મુક્ત થવાનું ઠરાવ્યું હતુ. તે દિવસો દરમ્યાન સરદારશ્રી અંગત રીતે એક કટોકટી ભરી સ્થિતિનો સામનો કરી રહ્યા હતા. છાપાંઓમાં નરીમાન અને ખરે પ્રકરણને લઈને એમની સામે વંટોળ ઊભો થયો હતો. અને બાપુની ખાસ સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતા તેમાં ઘર ફુટ્યા જેવી સ્થિતિ ઊભી થયેલ હતી. તેમ છતાં તેમણે પોતાના મન ઉપર કાબુ રાખ્યો અને જમનાલાલજી પ્રત્યેની હમદર્દી જાળવી રાખી. સરદારશ્રીની મિત્રો પ્રત્યેની ગજબની વફાદારી અને મિત્રોની ગેરસમજોના કારણે દુ:ખ થાય તો પણ મૂંગે મૂંગે સહન કરી મિત્રો પ્રત્યે મમતા મનમાં રાખી હતી.
Azad, Jamnalal Bajaj, Sardar Patel, Bose

નરીમાન પ્રકરણથી શ્રી જયંતીલાલ અમીન અંગે એક નવો ફણગો ફુટ્યો હતો, સરદારશ્રીને ફસાવવા નરીમાનના હિમાયતીઓ કેટલી હદ સુધી પહોચી ગયા હતા તે જયંતીલાલના તા. ૨૫-૧૧-૧૯૩૮ના પત્ર પરથી સમજી શકાય અને સરદારશ્રીએ આ પત્ર જવાબ આપતો વળતો પત્ર તા. ૨૮-૧૧-૧૯૩૮ના રોજ લખેલ હતો તે જાણવા જેવો છે.


ફોટો સૌજન્ય : http://www.jamnalalbajajfoundation.org/
© all rights reserved
SardarPatel.in