Mayor of Mumbai | Vithalbhai Patel, Sardar Patel

Mayor of Mumbai

Mayor of Mumbai - ૧૯૨૪ના ડિસેમબર દરમ્યાન, ગાંધીજી દ્વારા શરુ કરાયેલ ૧૯૨૧ના અસહકાર આંદોલનની અસર ધીરે ધીરે ઓછી થઈ રહી હતી. ગાંધીજી પોતે બ્રિટિશ સરકારના કેદી તરીકે યરવડા જેલમાં કેદ હતા. અને આવા સમયે બ્રિટિશ સરકારને ભારતમાંથી હાંકી કાઢવાની વાત એક દિવસ્વપ્ન કે વાહિયાત લાગવા માંડી હતી. અને બ્રિટિશ સરકાર પોતાની પકડ દેશ પર મજબૂત કરી રહી હતી. અને આવામાં સલામતીશોધક સૌ સરકારની પડખે સંતાવા લાગ્યા.
0

Mayor of Mumbai

૧૯૨૪ના ડિસેમબર દરમ્યાન, ગાંધીજી દ્વારા શરુ કરાયેલ ૧૯૨૧ના અસહકાર આંદોલનની અસર ધીરે ધીરે ઓછી થઈ રહી હતી. ગાંધીજી પોતે બ્રિટિશ સરકારના કેદી તરીકે યરવડા જેલમાં કેદ હતા. અને આવા સમયે બ્રિટિશ સરકારને ભારતમાંથી હાંકી કાઢવાની વાત એક દિવસ્વપ્ન કે વાહિયાત લાગવા માંડી હતી. અને બ્રિટિશ સરકાર પોતાની પકડ દેશ પર મજબૂત કરી રહી હતી. અને આવામાં સલામતીશોધક સૌ સરકારની પડખે સંતાવા લાગ્યા.

આવા સમયે હિંદુસ્તાનના વાઈસરોય લોર્ડ રીડિંગની સત્તાવાર મુલાકાત મુંબઈ શહેર માટે ગોઠવાઈ. અને તેમના હાથે ગેટ વે ઓફ ઈંડિયાનો ઉદ્ઘાટનવિધિનો કાર્યક્રમ યોજાયો. એટલે સ્વાભાવિક છે કે તેમના માનમાં ભવ્ય સમારંભો, ભોજન સમારંભો, સ્નેહ મિલનો યોજાયા અને વાઈસરોયને સન્માન માટે યોજાયેલ મિલનોને સમારંભોમાં પહોચવા માટે તલપાપડ થતા કેટલાય સજ્જનો અને આગેવાનો આ સમારંભોના આમંત્રણો માટે પડાપડી કરતા હતા.

આવામાં એક નીડર, હિંમતવાન દેશદીપકે અસહકારની જ્યોત જલાવી રાખેલ. એ સમયે આ દેશદીપક મુંબઈનું મોભાદાર મેયરપદ (મુંબઈનો પ્રથમ નાગરિક) શોભાવતા હતા. આમતો મેયરે શહેરમાં પધારતા દરેક મહાનુભાવોનું સૌ પ્રથમ સ્વાગત કરવાનો હક્ક અને અધિકાર હતો. અને આવામાં વાઈસરોયના સ્વાગતનો લહાવો કાંઈ વારે વારે મળતો નથી, અને આ સ્વાગતમાં પરિચય પણ થાય અને આ પરિચય ખુબજ  મદદરૂપ થાય.


આ દરેક સંભાવનાઓ કે લાલચોને ઠોકર મારી એ મેયરે પોતાના નામે આવેલ મુંબઈ સરકારનું આમંત્રણ આવ્યુ કે તરત મુખ્ય સચિવને સખેદ લખી જણાવ્યું કે પરદેશી ધૂંસરીમાંથી રાષ્ટ્રને મુક્ત કરવા મથતા પોતાના પક્ષની સ્વીકૃત નીતિ અનુસાર હું એ સમારંભોમાં ઉપસ્થિત રહી શકીશ નહીં!


સમગ્ર ભારતના વહીવટી વડા અને ઈંગલેંડના રાજાના પ્રતિનિધિ, ભારતના પ્રમુખ શહેરમાં પધારે અને તેના સ્વાગતમાં શહેરનો પ્રથમ નાગરિક જ ગેરહાજર હોય તો કેવું ખરાબ લાગે! અને વાઈસરોયનું અપમાન બ્રિટિશ સરકારની નોકરશાહી કેવી રીતે સહન કરી શકે? આથી પડદા પાછળનો દોરીસંચાર શરૂ થયો. કોર્પોરેશનના સરકાર નિયુક્ત સભ્યોને ફરમાન આવ્યા, બિનસરકારી, પણ સરકારથી અંજાઈ જતા મ્યુનિસિપલ સભ્યોને ઈશારા થયા કે પ્રમુખ ઉપર દબાણ લાવો, કોર્પોરેશની સભામાં આ અંગે ઠરાવ લાવો અને પ્રમુખને આદેશ આપો કે એમણે આ પ્રસંગોએ હાજરી આપી કોર્પોરેશનની શોભા વધારવી! ચારેકોર ચક્રો ગતિમાન થયા; મેયર પર અંગત દબાણો આવ્યા છતાં મેયર અડગ જ રહ્યા. એમને જાણનાર દરેકને ખાતરી થઈ કે કોર્પોરેશનની સભા વગર કોઈ આરો નથી; આથી સભા બોલાવાઈ.

સભાની શરૂઆતમાં જ મેયરે સ્પષ્ટતા કરી કે 
રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ બજાવવાના અને પોતાના અંતરાત્માના અવાજને માન આપવાના દ્વિવિધ હેતુથી પોતે જે પગલું ભર્યુ અને એમાં વાઈસરોય પ્રત્યે અંગત કોઈ આદરભાવની છાયા નહોતી.
પ્રમુખની આ સ્પષ્ટતા પૂરી થયે એક સભ્યે કાનૂની મુદ્દો ઊભો કર્યો કે મેયરેની કાર્યવાહી અંગે ચર્ચા કરવા સભા એકત્ર થઈ છે ત્યારે તેઓ પ્રમુખપદ શોભાવી શકે ખરા? મેયર ચુકાદો આપ્યો કે પોતે તત્કાલીન મ્યુનિસિપલ નિયમ અને ધારા અનુસાર વર્તન કરી રહ્યા છે અને એ ધારાની જોગવાઈઓનું પાલન કરતા હતા. મેયરની કાયદાની પકડ અને વકીલાતી ચોકસાઈ એવી હતી કે એમાં વાંધો ઉઠાવવા કોઈની હિંમત ચાલી નહી. પરિણામે પરચૂરણ સામાન્ય કામકાજ કરી સભા બરખાસ્ત થઈ અને મેયરની હાજરીનો સવાલ વિચારવા અલગ સભા બોલાવાઈ.

આ સભામાં મેયર ગેરહાજર રહ્યા અને કોર્પોરેશનની બહુમતીએ ઠરાવ કર્યો કે વાઈસરોયના માનમાં કે એમની મુલાકતના સંદર્ભમાં ગોઠવાયેલા આ સમારંભોમાં, કોર્પોરેશનનું પ્રતિનિધત્વ સાચવવા મેયરે હાજર રહેવું. રાજતરફી વલણથી દોરવાયેલા બહુમતી સભ્યોના આ આદેશને, પોતાની દેશભક્તિને આંચ આવે એટલે સર્વ જોખમો વહોરી, મેયરે અવગણ્યો અને મુંબઈ શહેરના પ્રથમ નાગરિકની ગેરહાજરી સર્વપ્રસંગે વર્તાઈ, એટલું જ નહી પણ લોકજીભે ચઢી. આ અવજ્ઞાથી છંછેડાયેલા, ધુંધવાયેલા ઉચ્ચ અધિકારીઓના ચઢાવેલા પેલા સભ્યો પણ ઉશ્કેરાટ અનુભવી રહ્યા હતા અને પ્રમુખશ્રી પ્રત્યે આગામી સભામાં, અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવાનો મનસૂબો સેવતા રહ્યા અને તેની યોજનાઓ પણ બનાવતા રહ્યા.

વાઈસરોયની વિદાયના થોડાજ સમય પછી કોર્પોરેશનની બેઠક બોલાવાઈ એટલે પેલા અવિશ્વાસની દરખાસ્તની ખુજલીવાળા લોકોને લાગ્યુ કે મેયરને સબક શીખવાડવાનો મોકો મળ્યો છે, અને આ તક ગુમાવવી ન જોઈએ, પણ આ સ્વામાની મેયરની અગમચેતી ના કારણે તેમનો અંદાજ કાચો પડ્યો. પેલા મેયર સભાના પ્રમુખસ્થાને બેસવાને બદલે, અન્ય સૌ સભ્યગણ સાથે સ્વસ્થતાથી બિરાજ્યા હતા. આ સ્થાનફેરનો આંચકો વિરોધીઓ માટે અણધાર્યો હતો અને તેમને આ આંચકાથી મુક્તિ મળે તે પહેલાં તો મ્યુનિસિપલ સેક્રેટરીએ સભા સમક્ષ મેયરશ્રીના રાજીનામાનો પત્ર પ્રસ્તુત કર્યો. પત્રમાં ઉલ્લેખ હતો કે, “પોતાના વલણની કોર્પોરેશનના સભ્યોને સ્પષ્ટ જાણ હોવા છતાં બહુમતીએ ઠરાવ કર્યો કે મારે વાઈસરોયના સમારંભોમાં હાજર રહેવું તેને હું મારા પ્રત્યેના અવિશ્વાસનું સુચક લેખું છું; અને એટલે મારા અંતરાત્માના અવાજને માન આપતાં આ સ્થાન ખાલી કરવાની મારી ફરજ સમજું છું. કેટલાક મિત્રોએ મને એવી પણ સલાહ આપી છે કે ઠરાવની તરફદારી કરનાર બહુમતી સાવ નજીવી હતી. એટલે આને મારે વિશ્વાસનો અભાવ લેખ્યા સિવાય, મારુ કાર્ય ચાલું રાખવું. એ મિત્રોની સદ્દભાવના બદલ હું એમનો ઋણી છું. પણ મારા પોતાના સ્વમાન ખાતર મારે રાજીનામું આપવું મને વિશેષ પસંદ અને ઉચિત લાગ્યું છે.”

સભામાં સન્નટો વ્યાપી ગયો. મેયરનું આવું અણધાર્યુ પગલાના કારણે જે લોકો મેયર ઉપર હાવી થવા માંગતા હતા તેઓની મનની મનમાં રહી ગઈ, અને સભા હવે કેવી રીતે આગળ વધારવી તે એક વિચારવા જેવો પ્રશ્ન થઈ ગયો. થોડી ગુસપુસ અને મસલતો થયા બાદ એક સભ્યે ઠરાવ મુક્યો કે માજી મેયર આજની સભાના પ્રમુખ સ્થાને કામગીરી બજાવે. આ વાતને બહુમતી સાથે ટેકો મળ્યો અને રાજીનામું આપનાર મેયર સભાના પ્રમુખસ્થાને બિરાજ્યા.અને શાંતિથી સભાનું સમાપન થયું. બીજી સભામાં પણ પહેલી સભાની જેમ જ માજી મેયરના પ્રમુખપદે સભાનું કામકાજ સંપુર્ણ થયું.

૫ જાન્યુઆરી ૧૯૨૫ મેયરની ચુંટણીની તારીખ આવી. રાષ્ટ્રીય પક્ષના એક સભ્યે દરખાસ્ત કરી કે રાજીનામું આપનાર માજી મેયરને જ પુન:ચુંટવા એ દરખાસ્તને અણધાર્યો ટેકો બહેરામજી જીજીભાઈ જેવા સરકારતરફી વલણવાળા સભ્યનો મળ્યો. તેમણે નિવેદન કર્યુ કે વાઈસરોય સમારંભની ગેરહાજરી અંગે પોતાના અંતરાત્માના અવાજને માન આપી એમણે જે પગલું ભર્યુ તેને બાદ કરતા એમનું એવું કોઈ કાર્ય નથી કે જેનો આદર સૌએ ન કર્યો હોય! એમની કામ કરવાની ધગશ અને ઢબના કારણે જ તેમને પુન: મેયરપદે ચુંટવા.

ગોરા અને સનદી મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ક્લેટને પણ જણાવ્યું કે મેયરપદને શોભાવે તેવા સૌ ગુણ, લક્ષણો અને આવડત માજી મેયરમાં છે, એમની આજદિન સુધીની કાર્યવાહીની સ્પષ્ટ અસરથી માલુમ થાય કે તેમની નિષ્પક્ષતાપણામાં કોઈ શક કરી શકે તેમ નથી.

બહેરામજી અને ક્લેટનના અણધાર્યા ટેકાથી પુન: મેયરપદે બહુમતીથી ચુંટાયા અને રાષ્ટ્રીયત્વની દ્વજા લહેરાઈ.

આમ પોતાના નિર્ણયમાં મક્કમ રહી વિરોધીઓને પોતાની કાર્યશક્તિ, કુનેહ અને અક્કલહોશિયારીથી માત આપી, અને આજીવન બ્રિટિશ સરકાર અને તેની નોકરશાહીને પોતાના દાવપેચથી નિયંત્રણમાં રાખનાર ભારતના સ્વાતંત્રસંગ્રામના એક અગ્રગણ્ય સેનાની, ભારતની વડી ધારાસભાના પ્રથામ ચુંટાયેલ પ્રમુખ એ જ તો હતા શ્રી વિઠ્ઠલભાઈ પટેલ.


No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in