સરદાર પટેલ અને સુભાષ ચંદ્ર બોઝ વચ્ચેનો વિવાદની હકીકત - The fact of the dispute between Sardar Patel and Subhash Chandra Bose

SHARE:

સરદાર પટેલ અને સુભાષચંદ્ર બોઝ વચ્ચેનો વિવાદની હકીકત The fact of the dispute between Sardar Patel and Subhash Chandra Bose વર્ષ ૧૯૩૯ના કોંગ્રેસ અધિવેશન માટે જ્યારે પ્રમુખપદનો પ્રશ્નન વિચાર માટે મુકાયો ત્યારે ગાંધીજીએ સમાજવાદીઓના ઉગ્ર વલણો તથા વિચારોને શાંત પાડી શકે તેવા પ્રમુખ તરીકે જવાહરલાલ ઉપર આંખ ઠેરવી હતી. અને જવાહરલાલ જો કોંગ્રેસ પ્રમુખ બને તો ઉદ્દામવાદીઓને પણ નિયંત્રણમાં રાખી શકાય સાથે સાથે બ્રિટિશ સરકાર દ્વારા પ્રાંતિજ સ્વરાજ આપવાનું સ્વીકારેલ તે માટે કોંગ્રેસ એક જુથ હોવુ ખુબ જ જરૂરી હતું. ગાંધીજીના મનમાં જવાહરલાલનું નામ વિચારમાં આવેલ છે

સરદાર પટેલ અને સુભાષચંદ્ર બોઝ વચ્ચેનો વિવાદની હકીકત 

The fact of the dispute between Sardar Patel and Subhash Chandra Bose

Vithalbhai Patel and Subhash Chandra Bose

વર્ષ ૧૯૩૯ના કોંગ્રેસ અધિવેશન માટે જ્યારે પ્રમુખપદનો પ્રશ્નન વિચાર માટે મુકાયો ત્યારે ગાંધીજીએ સમાજવાદીઓના ઉગ્ર વલણો તથા વિચારોને શાંત પાડી શકે તેવા પ્રમુખ તરીકે જવાહરલાલ ઉપર આંખ ઠેરવી હતી. અને જવાહરલાલ જો કોંગ્રેસ પ્રમુખ બને તો ઉદ્દામવાદીઓને પણ નિયંત્રણમાં રાખી શકાય સાથે સાથે બ્રિટિશ સરકાર દ્વારા પ્રાંતિજ સ્વરાજ આપવાનું સ્વીકારેલ તે માટે કોંગ્રેસ એક જુથ હોવુ ખુબ જ જરૂરી હતું. ગાંધીજીના મનમાં જવાહરલાલનું નામ વિચારમાં આવેલ છે આ જાણીને કેટલાય કોંગ્રેસી નેતાઓએ તથા કારોબારી સમિતિના સભ્યો સુધ્ધાએ લખનૌ અધિવેશન માટે સરદાર પટેલનું નામ પણ સુચવ્યું. અને જો આમ સુચનો આવતા રહે અને ચર્ચાઓ ચાલતી રહે તો મતભેદ સપાટી પર આવ્યા વિના રહે નહી આ સરદાર પટેલ બરાબર જાણતા અને સમજતા હતા કે ગાંધીજીના મનમાં પ્રમુખપદ માટે જવાહરલાલનું નામ છે અને સરદાર પટેલ ગાંધીજીની ઈચ્છા વિરુધ્ધ કાર્ય કરવા માટે વિચાર સુધ્ધાં પણ મનમાં નહોતો. આથી તેમણે પોતાના નિવેદનમાં કહ્યુ કે: 
જોકે કેટલાક મિત્રોએ મારુ નામ લખનૌ અધિવેશનના પ્રમુખપદ માટે સુચવ્યુ છે પરંતુ આ ચુંટણી સર્વાનુમતે થાય તેવુંં હું ઈચ્છું છું અને આથી મારુ નામ હું પાછું ખેચી લઉ છું. પરંતુ એનો અર્થ એ નથી કે જવાહરલાલના દરેક વિચારો સાથે હું સહમત છું. દેશ આખો જાણે છે કે કેટલીક મહત્વની બાબતોમાં મારા અને જવાહરલાલના વિચારો જુદા છે; આમ છતાં હું સૌને વિનંતી કરુ છું કે અત્યારે તેઓ જવાહરલાલને સર્વાનુમતે પ્રમુખ તરીકે ચૂંટી કાઢે. એનો અર્થ એ પણ નથી થતો કે કોંગ્રેસ સમાજવાદી વિચારસરણીનો સ્વીકાર કરે છે.
લખનૌ કોંગ્રેસ અધિવેશનમાં પ્રાંતિક સ્વરાજ માટેની ચૂંટણીઓમાં સમગ્ર તંત્રની જવાબદારી સરદારને સોંપવામાં આવી, વર્ષ ૧૯૩૭ની ચુંટણીઓના પરિણામ જ્યારે જાહેર થયા ત્યારે દેશભરમાં કોંગ્રેસપક્ષ બહું મોટી બહુમતીએ જીત્યો.ફેબ્રુઆરી ૧૯૩૮ના હરીપુરા (બારડોલી તાલુકાના) કોંગ્રેસ અધિવેશન યોજાયું ત્યારે જવાહરલાલના કોંગ્રેસ પ્રમુખ તરીકેના સમયગાળામાં ઉદ્દામવાદી તત્વોએ કોંગ્રેસને સાથ સહકાર આપ્યો, આથી ગાંધીજી એવા તર્ક ઉપર આવ્યા કે જો હજી એક-બે વર્ષ કોંગ્રેસ એક્જુથ રહે તો અંગ્રેજો ઉપર વધુ સારી રીતે દબાવ બનાવી શકાય તેમ છે. સુભાષચંદ્ર બોઝ વર્ષ ૧૯૩૭ની ચુંટણીઓ દરમ્યાન જેલમાં હતા, પરંતુ ચુંટણીઓ બાદ તેઓ મુક્ત થયા હતા, અને આ મુક્તિને કોંગ્રેસના સમાજવાદીઓએ ખુબજ ઉત્સાહભેર વધાવી. જો સુભાષબાબુ જવાહરલાલના અનુગામી તરીકે કોંગ્રેસપ્રમુખ બને તો કોંગ્રેસના ઉદ્દામવાદીઓ આપોઆપ શાંત થઈ જાય તેમ ગાંધીજીનુંં માનવું હતુ આથી તેમણે નવા પ્રમુખ તરીકે સુભાષચંદ્ર બોઝના નામનું સુચન કર્યુ. અને આ સુચનને કોંગ્રેસપક્ષે સર્વાનુમતે સ્વીકાર કર્યો. 

પરંતુ આ સાથે સાથે એક નવી મુસીબત આકાર લઈ રહી હતી. નવા પ્રમુખ સુભાષચંદ્ર બોઝની સર્વાનુમતે વરણી થઈ જેમાં સમાજવાદીઓએ પોતાનો વિજય માનીને કોંગ્રેસની જમણેરી નીતિઓને જાહેરમાં વખોડવાની શરુઆત કરી. અને કોંગ્રેસની આ જમણેરી નીતિના સૌથી વધુ સક્રિય વ્યક્તિ તરીકે સરદાર પટેલ હતા તેવુંં તેઓ માનવા લાગ્યા. અને આથી તેઓએ સરદારને વગોવવા કે સરદાર વિરુધ્ધ ઝુંબેશ શરુ કરી. અને કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે સુભાષચંદ્ર બોઝે તેઓને રોક્યા પણ નહી આથી સરદાર પટેલ ખુબ જ નારાજ થયા અને એમણે પોતાના એક ભાષણમાં સમાજવાદીઓને વાતોમાં શુરા, બિનજવાબદાર અને તેઓ કોઈ નક્કર કામ કરવાને અસમર્થ છે તેમ કહી જાહેરમાં ખુબજ ઝાટકણી કાઢી. આથી સુભાષચંદ્ર બોઝ અને અન્ય સૌ ઉદ્દામવાદીઓ સરદાર ઉપર રોષે ભરાયા.

કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે સુભાષચંદ્ર બોઝ યોગ્ય નથી અને ગાંધીજીના વિચારો સાથે બંધ બેસતા નથી થઈ શકે તેવી પ્રતિતી ગાંધીજીને થોડાજ સમયમાં થઈ ગઈ. સુભાષચંદ્ર સમાજવાદી નહોત પરંતુ સરદાર વિષે ઉગ્ર ટીપ્પણીઓ કરનાર જયપ્રકાશ તથા અન્ય સમાજવાદીઓ સાથે તેમનો ઘરોબો હતો. જવાહરલાલ ગાંધીજીની સરખામણીએ તદ્દન જુદા પડતા તેમ છતાં તેઓ ગાંધીજીની મર્યાદા અને વિવેક જાળવતા તેવુ વર્તન સુભાષચંદ્રના સ્વભાવમાં નહોતુ. સુભાષચંદ્ર બોઝને ગાંધીજી પ્રત્યે માન અને આદરભાવ હોવા છતાં ક્યારેક તેઓ ગાંધીજી સાથે અસહમત હોય ત્યારે મર્યાદાઓ વટાવી તઓ પોતાની અસંંમતિ દર્શાવી દેતા.

પરિણામે વર્ષ ૧૯૩૯ના ત્રિપુરા અધિવેશનમાં ગાંધીજી અને તેમના સાથીઓએ સુભાષચંદ્રના પ્રમુખપદનો અંત લાવવાનો મનોમન નિર્ણય કરી લીધો અને આથી વિપરીત સુભાષચંદ્ર બોઝે બીજા વર્ષે પણ પ્રમુખપદની ઉમેદવારી જાહેર કરી. સરદાર પટેલ, મૌલાના તથા ગાંધીજીએ પણ આ ચુંટણી બિનહરીફ થાય તેવા પ્રયત્નો કર્યા પરંતુ સુભાષચંદ્ર બોઝ ટસથી મસ ન થયા. આથી ડો. પટ્ટાભિ સીતારામૈયાએ ગાંધીજી, સરદાર પટેલ તથા અન્ય વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓના આશીર્વાદથી સુભાષચંદ્ર બોઝના પ્રતિસ્પર્ધી તરીકે ઉમેદવારી જાહેર કરી. સુભાષચંદ્ર બોઝ પોતાની જોશીલી કાર્યપધ્ધતિના કારણે યુવાનોમાં ખાસ્સા લોકપ્રિય બન્યા હતા અને કોંગ્રેસ પ્રતિનિધિઓમાં પણ લોકપ્રિય બન્યા હતા આ કારણે પટ્ટાભિ હારી ગયા અને સુભાષચંદ્ર બોઝ ગાંધીજી તથા સરદાર પટેલની ઈચ્છા વિરુધ્ધ કોંગ્રેસ પ્રમુખ તરીકે બીજી વાર ચુંટાયા.

આ કારણોસર સુભાષચંદ્ર અને ગાંધીજીના અનુયાયીઓ વચ્ચે સાંધી ન શકાય તેવી તિરાડ પડી. મહાસમિતિમાં બહુમતી હોવા છતાં સુભાષચંદ્ર પાસે કારોબારીમાં બહુમતી નહોતી, અને કારોબારીની બહુમતી ગાંધીજી તરફી હતી, આથી સૌ ગાંધીવાદી કારોબારી સભ્યોએ એવો ઠરાવ કર્યો કે નવી કારોબારીની નિમણૂંક ગાંધીજીની સહમતિથી કરવી અને આ ઠરાવ બાદ બધાએ એક સાથે રાજીનામાં આપી દીધા. પરિણામે સુભાષચંદ્ર બોઝના હાથ બંધાઈ ગયા. સુભાષચંદ્ર બોઝ સમજી ગયા હતા કે ગાંધીજી અને સરદારના સહકાર વગર કોંગ્રેસ પ્રમુખનો તાજ કપરી કસોટીનો છે. નવી કારોબારીમાં જો ગાંધીજી તરફી બહુમતી થાય તો ડગલેને પગલે કોંગ્રેસપ્રમુખના હાથ બંધાઈ જાય અને બીજી તરફ અત્યાર સુધીના તમામ કોંગ્રેસપ્રમુખો કારોબારીની નિયુક્તિ સ્વતંત્ર રીતે કરી શકતા હતા તે પરંપરા કારોબારીના એક ઠરાવથી અટકી ગયી. આથી સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસપ્રમુખ પદ છોડવું પડ્યુ.

ઉપરાછપરી રાજકીય ધરતીકંપોના કારણે વર્ષ ૧૯૩૩ દરમ્યાન સરદાર પટેલના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું અવસાન થયેલ અને તેમના વસીયતનામાનો અમલ કરવામાં વિલંબ થઈ રહ્યો હતો આથી વિઠ્ઠલભાઈ પટેલની વસીયતનામાના વહીવટકર્તા તરીકે વિઠ્ઠલભાઈએ ડો. ગોરધનભાઈ પટેલ કે જેઓ કલકત્તાના ધારાશાસ્ત્રી હતા અને બીજા સુભાષચંદ્ર બોઝ કે જેઓ વિઠ્ઠલભાઈના મિત્ર પણ હતા એમ બે વ્યક્તિઓની નિમણૂંક કરી. બીજા વહીવટકર્તા તરીકે ડો. ગોરધનભાઈ પટેલ અવારનવાર સુભાષચંદ્ર બોઝને વસીયતનામાના અમલ કરવા માટે યાદ અપાવતા પરંતુ સુભાષચંદ્ર બોઝે આ બાબતે પુરતુ ધ્યાન આપ્યુ નહોતુ. પરીણામે ડો. ગોરધનભાઈ પટેલે સુભાષચંદ્ર બોઝ્ને વસીયતનામાની અસલ નકલ આપવા બાબતે જણાવ્યુ અને જો તેમ ન થાય તો વહીવટકર્તા તરીકે તેઓ પોતે અદાલતમાં જઈ આ નકલ મેળવવા કાનુની કાર્યવાહી કરશે. આથી સુભાષચંદ્ર બોઝે ડો. પટેલને અસલ વસીયતનામું મોકલી આપ્યુ. વસીયતનામાની મુળ નકલ હાથ આવતા જ ગોરધનભાઈ વલ્લભભાઈને મળ્યા. અને વિઠ્ઠલભાઈના વસીયતની વિગત જણાવી, અત્યારસુધી સરદાર પટેલ વિઠ્ઠલભાઈની વસીયતથી અજાણ હતા આથી તેમણે કાંઈ ખાસ રસ ન લીધો જેનુ મુખ્ય કારણ એ હતુંંકે વિઠ્ઠલભાઈને સુભાષચંદ્ર પર વિશ્વાસ હોવાના કારણે તેમણે પોતે સુભાષચંદ્રને આ કામ સોંપ્યુ હોય તો સુભાષચંદ્ર તે યોગ્ય લાગે તે રીતે કરે અને તેમાં ક્યાય પોતે વચ્ચે ન પડવું તેમ તેઓ માનતા હતા. પરંતુ ગોરધનભાઈએ જ્યારે મુળ નકલ સરદાર પટેલ સમક્ષ મુકી અને સરદાર પટેલે આખું લખાણ ધ્યાનપુર્વક વાંચ્યુ. વિલના સાક્ષી તરીકે જેમની સહી લેવામાં આવી હતી તેઓ ત્રણેય બંગાળીઓ હતા. જ્યારે વિઠ્ઠલભાઈ પટેલ જીનીવામાં અવસાન પામ્યા ત્યારે જીનીવામાં જ વિઠ્ઠલભાઈના ગુજરાતી મિત્રો ભુલાભાઈ દેસાઈ, વાલચંદ હીરાચંદ તથા અંબાલાલ સારાભાઈ જેવા મિત્રો વસતા હતા. તેમ છતાં તેઓને જાણ કર્યા વગર વિલના સાક્ષી તરીકે ત્રણ બંગાળીઓને શા માટે પસંદ કર્યા તેવી શંકા સરદાર પટેલના મનમાં જાગી. આ ઉપરાંત વિલની છેલ્લી કલમમાં સુભાષચંદ્રને જે રકમ સુપરત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તે રકમથી સુભાષચંદ્રને સોંપાયેલ હિંદના રાજકીય ઉત્કર્ષ તથા વિદેશ વસતા હિંદીઓમાં રાજકીય જાગરૂકતા લાવવાના ઉદ્દેશ માટે વાપરવી તે ભારે અસ્પષ્ટ લાગ્યુ અને સાથે સાથે તેઓએ મનોમન વિચારીને આ વિલના વહીવટકર્તા તરીકે ડો. પટેલને  અદાલતમાં આ વસીયતને પડકારવા માટે જવાબદારી સોંપી આ વસીયત આખરે ખોટી સાબિત થઈ. 

આમ સરદાર પટેલ અને સુભાષ ચંદ્ર બોઝ વચ્ચે વિવાદ વકરતો જ રહ્યો. 

COMMENTS

Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content