Sardar Patel, Shaheed Bhagatsingh, Sukhdev, and Rajguru | Vithalbhai Patel, Sardar Patel

Sardar Patel, Shaheed Bhagatsingh, Sukhdev, and Rajguru

0

Sardar Patel, Shaheed Bhagat singh, Sukhdev, and Rajguru

કરાંચીની કોંગ્રેસની સભા ખુબ જ તંગ વાતાવરણમાં થઈ હતી, સરકાર સાથે કરવામાં આવેલ સમાધાનથી નવજુવાનિયાઓમાં ભારોભાર અસંતોષ હતો. સમાધાનની શરતો મુજબ જે લોકો જેલમાંથી છુટવા જોઈતા હતા તેવા બધા કેદીઓ અમલદારોની આડખીલીઓને લીધે હજી છુટ્યા નહોતા. તથા બંગાળ તથા બીજા કેટલાય પ્રાંતોમાં મોટી સંખ્યામાં કેદીઓની અટકાયત કરવામાં આવેલી અને અમુક લોકોને નજરકેદમાં રાખેલ હતા. તેઓ સત્યાગ્રહની લડતને કારણે પકડાયેલ નહોતા પરંતુ રાજદ્વારી કેદીઓ તો હતા જ. અને સમાધાનમાં તેમને છોડાવવાની કોઈ જોગવાઈ થઈ શકી નહોતી, તથા નારજગીનું સૌથી મોટું કારણ તો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ કે જેઓને પંજાબના એક અમલદારના ખૂન કરવા બદલ ૧૯૨૮ના લાહોર કાવતરા કેસમાં ફાંસીની સજા થી હતી અને તેઓને ફાંસી ન આપવામાં આવે તેવી સૌ નવજુવાનિયાઓની માંગણી હતી. વાઈસરોય સાથેની ચર્ચામાં ગાંધીજીએ એમને ફાંસી ન આપવામાં આવે તે માટે વાઈસરોયને સમજાવવામાં કાંઈ બાકી નહોતુ રાખ્યુ, પરંતુ વાઈસરોય ફાંસી અટકાવવા તૈયાર જ નહોતા અને વાટાઘાટો સત્યાગ્રહની લડત અંગેની હોવાથી ગાંધીજી સંધિની શરતોમાં એ મુકી શકતા નહોતા, વળી ભગતસિંહ પોતે એવો બહાદુર યુવાન હતો કે તેણે વાઈસરોયને દયાની અરજી કરવાની સાફ ના પાડી હતી અને કહ્યુ કે મે તો દેશની સ્વતંત્રતાની લડતમાટે એક શત્રુનું ખૂન કર્યુ છે, માટે સરકાર પણ મને શત્રુ ગણી ભલે ગોળી મારી દે, કે મને ફાંસીએ લટકાવે. ભગતસિંહે તો આવા બહાદુરી તથા હિમતવાળા વર્તનથી નવજુવાનિયાઓના હ્રદય જીતી લીધા હતા અને વાઈસરોયે ગાંધીજીને એટલુ જ કહ્યુ કે તમે ચાહતા હો તો કરાંચીની કોંગ્રેસ સભા પુરી થઈ જાય પછી ફાંસીની સજા દેવાય તેવી વ્યવ્સ્થા કરી શકું, પરંતુ ગાંધીજીએ વાઈસરોયને વિનંતિ કરી કે તમે નવજુવાનોના હ્રદય પર સારી અસર કરવાની એક તક ગુમાવી રહ્યા છો. પરંતુ તમારે એ કરવુ નથી આથી જો તમારે ફાંસી દેવાની જ હોય તો કરાંચીની સભા પહેલા જ આપો જેથી મારે અને સરદાર પટેલને નવજુવાનોનો રોષ વહોરવાનો હોય તે અમે વહોરીએ.


છેવટે કરાંચી અધિવેશન ના થોડા દિવસ પહેલા જ એટલે કે ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ભગતસિંહ અને તેમના સાથીઓને ફાંસી અપાઈ, નવજુવાનો ખુબ જ ઉશ્કેરાયા. ગાંધીજી અને સરદાર પટેલ કરાંચી પહોચ્યા તે વખતે નવજુવાનોએ તેમની આગળ કાળા વાવટા અને કાળા ફુલો ધરી પોતાનો વિરોધ દર્શાવવા ઈચ્છતા હતા. ગાંધીજી અને સરદાર પટેલે તેઓને રોક્યા નહી બલ્કે તેઓને સૌથી પહેલા બોલાવી તેમના રોષનો આદર કર્યો અને જણાવ્યુ કે તેઓને રોષ કરવાનો હક્ક છે. અને નવજુવાનોના દિલમાં રોષ ની સાથે સાથે સરદાર પટેલ તથા ગાંધીજી પ્રત્યે અનાદર તો નહોતો જ, માત્ર પોતાની લાગણીઓનો ઉભરો તેમની આગળ ઠાલવવો હતો. અને જ્યારે ગાંધીજી તથા સરદાર પટેલે તેઓને રોષ પ્રગટ કરવાની પુરેપુરી તક આદર સાથે આપી ત્યારે નવજુવાનિયાઓ શરમાયા.

સરદાર પટેલનું પ્રમુખ તરીકેનું ભાષણ બહુ ટુંકુ હતુ, પોતાને કોંગ્રેસના પ્રમુખ નીમવામાં આવ્યા તે પોતાની નહી પરંતુ ગુજરાતની કદર કરવા માટે છે. સાથે સાથે તેમણે જે કહ્યુ તે દરેકે સમજવા જેવું છે.

“મારા જેવા સીધાસાદા ખેડૂતને તમે દેશના પ્રથમ સેવકના પદને માટે ચુંટ્યો તે મારી સેવાની કદર કરતા ગુજરાતે ગયા વર્ષના યજ્ઞમાં જે અદ્ભુત બલિદાન આપ્યા તેની કદર કરવાને અર્થે છે, તે હુ સારી રીતે સમજુ છુ, ગુજરત પ્રાંતને એ માનને માટે તમે પસંદ કર્યો એ તમારી ઉદારતા છે બાકી સાચી વાતતો એ છે કે આ જમાનાની અપૂર્વ જાગૃતિના ગયા વર્ષ્માં કોઈ પ્રાંતને બલિદાન આપવમાં કોઇ કચાશ રાખી નથી. દયાળુ પ્રભુ નો પાડ છે કે એ જાગૃતિ સાચી આત્મ શુધ્ધિની હતી.”
ભગતસિંહની ફાંસી વિષે બોલતા કહ્યુ : “નવજુવાન ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને થોડા જ દિવસ ઉપર ફાંસી મળી છે તેથી દેશને પારાવાર ઉકળાટ થયો છે. એ યુવકોની કાર્યપધ્ધતિની સાથે મારે નિસ્બત નથી, બીજા કોઈ પણ હેતુને માટે ખૂન કરવુ તેના કરતા દેશને માટે કરવુ એ ઓછું નિંદનીય છે તેમ હું માનતો નથી. છતાં ભગતસિંહ અને તેના સાથીઓની દેશભક્તિ, હિમ્મત અને બલિદાન આગળ મારૂ શિર ઝુકે છે. આ યુવાનોને થયેલી ફાંસીની સજા બદલીને દેશનિકાલની કરવામાં આવે એવી લગભગ આખા દેશની માંગણી છતા સરકારે એમને ફાંસી દઈ દીધી છે, એ હાલનુ રાજતંત્ર કેટલુ હ્રદયશુન્ય છે એ પ્રગટ કરે છે.”

સંદર્ભ : સરદાર પટેલના ભાષણો - ભાગ ૨  


Bhagat singh, Sukhdev, Rajguru




No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in