October 2018 | Vithalbhai Patel, Sardar Patel

Barrister Sardar Patel

૧૩ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ સરદાર પટેલ મુંબઈ આવ્યા. સરદાર પટેલ બીજા જ દિવસે અમદાવાદ પહોચી ગયા. સરદાર પટેલ તે સમયના પ્રધાન ન્યાયાધીશ સર બેસિલ સ્કોટ સાથે સારો પરિચય હતો, અને એટલે જ તેમણે સરદાર પટેલને મળવા મુંબઈ બોલાવ્યા. સર બેસિલે તેમનું ખુબજ સારી રીતે સ્વાગત કર્યુ અને તેમણે સરદાર સાહેબને દરેક પ્રકારની સહાય કરવાનું વચન આપ્યું. સર બેસિલે ગવર્ન્મેંટ લો સ્કુલમાં સરદાર સાહેબને પ્રોફેસરનું પદ પણ આપવાની ઈચ્છા જાહેર કરી, પરંતુ આ સાથે સાથે સરદાર પટેલે મુંબઈ સ્થાયી રહેવુ પડશે એમ સ્કોટનું માનવુ હતું. પરંતુ સરદાર પટેલ વકીલાતની શરૂઆતના દિવસોમાં મુંબઈ પસંદ નહોતા કરતા એટલે જ અમદાવાદ આવી ગયા. પોતાના અસીલોની સેવા કરવા માટે તેમના મનમાં ખાસ યોજનાઓ બનાવેલી હતી. અને અમદાવાદ રહી તેમને જાહેર જીવનમાં પણ કામ કરવાની ઈચ્છા હતી. ભગવાન પણ જાણે મહાત્માને સરદાર સાથે મેળવવા માટે આતુર હોય તેમ ગાંધીજીએ પણ પોતાના જાહેર જીવનના સામાજીક કાર્યો માટે અમદાવાદ પસંદ કર્યુ. અમદાવાદની જનતાને આ વાતનો ગર્વ હતો.



સરદાર પટેલ એક પ્રતિભા સંપન્નયુવકના રુપમાં અંગ્રેજી પહેરવેશ, માથે એક તરફ ઝુકેલી હેટ લગાવી બાર કાઉંસિલમાં પ્રવેશ કર્યો. એક અલગ પ્રકારનું તેજ તેમની આંખોમાં જોવા મળતું હતુ. તે બહુ ઓછા બોલા પરંતુ જેટલુ બોલતા તે દરેક શબ્દોમાં વજન રહેતુ. વકીલની હેસિયતના કારણે તેમને ફોજદારીના કેસોમાં વધુ રૂચી હતી. તેઓની સામેના વ્યક્તિનો સ્વભાવ એક નજરમાં પારખી લેવાની ક્ષમતાના કારણે પોતાના શબ્દોથી એવો હુમલો કરતા કે તે સમજી જ નહોતો શક્તો કે શુ થઈ રહ્યુ છે અને શુ થશે? અને આ કારણે સામેવાળો પોતાનો બચાવ પણ કરી શક્તો નહોતો.

Speech of Sardar Patel at Karachi as Congress President - કરાંચી કોંગ્રેસના પ્રમુખ - સરદાર પટેલ

કરાંચી કોંગ્રેસના પ્રમુખ – માર્ચ ૧૯૩૧



જે વખતે વાઈસરોય સાથે વાટાઘાટો ચાલતી હતી તે વખતે જ કારોબારીના સભ્યો આવતી કોંગ્રેસ ક્યા અને ક્યારે ભરવી તેનો વિચાર કરી રહ્યા હતા. લાહોરની કોંગ્રેસમાં એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે દર વર્ષે નાતાલના સમયે કોંગ્રેસ ભરાય છે અને તે દિવસો દરમ્યાન ટાઢ વધુ હોવાથી, માર્ચ મહિનામાં કોંગ્રેસની સભા ભરવી. આ વર્ષ દરમ્યાન લડત ચાલતી હોવાથી દરેક પ્રાંતની કોંગ્રેસ સમિતિઓ પ્રમુખની તેમજ પ્રતિનિધિઓની ચુંટણી શક્ય ન હોવાથી કારોબારીમાં ઠરાવ થયો કે જો પ્રાંતિય સમીતિઓ સમાધાન કરે તો કરાંચીમાં કોંગ્રેસની સભા ભરવી અને તેનું પ્રમુખ પદ સરદાર પટેલને સોંપવું. પ્રતિનિધીઓની બાબતમાં એવો ઠરાવ કર્યો કે પ્રાંતિય સમિતિઓ ચુંટવાના સભ્યોમાં અડધા પોતાના સભ્યો તથા બાકી અડધા જેલમાં ગયેલ પોત પોતાના પ્રાંતના સભ્યોમાંથી ચુંટે.



માર્ચ ૧૯૩૧ના છેલ્લા અઠવાડિયામાં કોંગ્રેસ કરાંચીમાં ભરવાનું નક્કી કરવામાં આવ્યું, એટલે કરાંચીના લોકોને તૈયારી કરવા માટે ખુબ ઓછા દિવસો હતા, પણ ત્યાંની મ્યુનિસિપાલિટીના પ્રમુખશ્રી જમશેદ મહેતાના સહકારના કારણે અને ડો. ચોઈથરામ તથા સિંધના નિરાભિમાની અને નિષ્ઠાવાન કાર્યકર્તા શ્રી જયરામદાસજીની વ્યવસ્થાને કારાણે કરાંચીમાં વ્યવસ્થા સરસ રીતે થઈ. તૈયારી માટે પુરતો એક મહિનો ન હોવા છ્તાં ત્યાં વસતા ગુજરાતીઓએ પણ તેમાં પુરો ફાળો આપ્યો હતો, હજ્જારો માણસોની રહેવાની તથા નિત્યકર્મની વ્યવસ્થા આદર્શ ગણાય એવી કરવામાં આવી.



કરાંચીની કોંગ્રેસની સભા ખુબ જ તંગ વાતાવરણમાં થઈ હતી, સરકાર સાથે કરવામાં આવેલ સમાધાનથી નવજુવાનિયાઓમાં ભારોભાર અસંતોષ હતો. સમાધાનની શરતો મુજબ જે લોકો જેલમાંથી છુટવા જોઈતા હતા તેવા બધા કેદીઓ અમલદારોની આડખીલીઓને લીધે હજી છુટ્યા નહોતા. તથા બંગાળ તથા બીજા કેટલાય પ્રાંતોમાં મોટી સંખ્યામાં કેદીઓની અટકાયત કરવામાં આવેલી અને અમુક લોકોને નજરકેદમાં રાખેલ હતા. તેઓ સત્યાગ્રહની લડતને કારણે પકડાયેલ નહોતા પરંતુ રાજદ્વારી કેદીઓ તો હતા જ. અને સમાધાનમાં તેમને છોડાવવાની કોઈ જોગવાઈ થઈ શકી નહોતી, તથા નારજગીનું સૌથી મોટું કારણ તો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ કે જેઓને પંજાબના એક અમલદારના ખૂન કરવા બદલ ૧૯૨૮ના લાહોર કાવતરા કેસમાં ફાંસીની સજા થી હતી અને તેઓને ફાંસી ન આપવામાં આવે તેવી સૌ નવજુવાનિયાઓની માંગણી હતી. વાઈસરોય સાથેની ચર્ચામાં ગાંધીજીએ એમને ફાંસી ન આપવામાં આવે તે માટે વાઈસરોયને સમજાવવામાં કાંઈ બાકી નહોતુ રાખ્યુ, પરંતુ વાઈસરોય ફાંસી અટકાવવા તૈયાર જ નહોતા અને વાટાઘાટો સત્યાગ્રહની લડત અંગેની હોવાથી ગાંધીજી સંધિની શરતોમાં એ મુકી શકતા નહોતા, વળી ભગતસિંહ પોતે એવો બહાદુર યુવાન હતો કે તેણે વાઈસરોયને દયાની અરજી કરવાની સાફ ના પાડી હતી અને કહ્યુ કે મે તો દેશની સ્વતંત્રતાની લડતમાટે એક શત્રુનું ખૂન કર્યુ છે, માટે સરકાર પણ મને શત્રુ ગણી ભલે ગોળી મારી દે, કે મને ફાંસીએ લટકાવે. ભગતસિંહે તો આવા બહાદુરી તથા હિમતવાળા વર્તનથી નવજુવાનિયાઓના હ્રદય જીતી લીધા હતા અને વાઈસરોયે ગાંધીજીને એટલુ જ કહ્યુ કે તમે ચાહતા હો તો કરાંચીની કોંગ્રેસ સભા પુરી થઈ જાય પછી ફાંસીની સજા દેવાય તેવી વ્યવ્સ્થા કરી શકું, પરંતુ ગાંધીજીએ વાઈસરોયને વિનંતિ કરી કે તમે નવજુવાનોના હ્રદય પર સારી અસર કરવાની એક તક ગુમાવી રહ્યા છો. પરંતુ તમારે એ કરવુ નથી આથી જો તમારે ફાંસી દેવાની જ હોય તો કરાંચીની સભા પહેલા જ આપો જેથી મારે અને સરદાર પટેલને નવજુવાનોનો રોષ વહોરવાનો હોય તે અમે વહોરીએ.



છેવટે કરાંચી અધિવેશન ના થોડા દિવસ પહેલા જ એટલે કે ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ભગતસિંહ અને તેમના સાથીઓને ફાંસી અપાઈ, નવજુવાનો ખુબ જ ઉશ્કેરાયા. ગાંધીજી અને સરદાર પટેલ કરાંચી પહોચ્યા તે વખતે નવજુવાનોએ તેમની આગળ કાળા વાવટા અને કાળા ફુલો ધરી પોતાનો વિરોધ દર્શાવવા ઈચ્છતા હતા. ગાંધીજી અને સરદાર પટેલે તેઓને રોક્યા નહી બલ્કે તેઓને સૌથી પહેલા બોલાવી તેમના રોષનો આદર કર્યો અને જણાવ્યુ કે તેઓને રોષ કરવાનો હક્ક છે. અને નવજુવાનોના દિલમાં રોષ ની સાથે સાથે સરદાર પટેલ તથા ગાંધીજી પ્રત્યે અનાદર તો નહોતો જ, માત્ર પોતાની લાગણીઓનો ઉભરો તેમની આગળ ઠાલવવો હતો. અને જ્યારે ગાંધીજી તથા સરદાર પટેલે તેઓને રોષ પ્રગટ કરવાની પુરેપુરી તક આદર સાથે આપી ત્યારે નવજુવાનિયાઓ શરમાયા.



સરદાર પટેલનું પ્રમુખ તરીકેનું ભાષણ બહુ ટુંકુ હતુ, પોતાને કોંગ્રેસના પ્રમુખ નીમવામાં આવ્યા તે પોતાની નહી પરંતુ ગુજરાતની કદર કરવા માટે છે. સાથે સાથે તેમણે જે કહ્યુ તે દરેકે સમજવા જેવું છે.



“મારા જેવા સીધાસાદા ખેડૂતને તમે દેશના પ્રથમ સેવકના પદને માટે ચુંટ્યો તે મારી સેવાની કદર કરતા ગુજરાતે ગયા વર્ષના યજ્ઞમાં જે અદ્ભુત બલિદાન આપ્યા તેની કદર કરવાને અર્થે છે, તે હુ સારી રીતે સમજુ છુ, ગુજરત પ્રાંતને એ માનને માટે તમે પસંદ કર્યો એ તમારી ઉદારતા છે બાકી સાચી વાતતો એ છે કે આ જમાનાની અપૂર્વ જાગૃતિના ગયા વર્ષ્માં કોઈ પ્રાંતને બલિદાન આપવમાં કોઇ કચાશ રાખી નથી. દયાળુ પ્રભુ નો પાડ છે કે એ જાગૃતિ સાચી આત્મ શુધ્ધિની હતી.”



ભગતસિંહની ફાંસી વિષે બોલતા કહ્યુ : “નવજુવાન ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને થોડા જ દિવસ ઉપર ફાંસી મળી છે તેથી દેશને પારાવાર ઉકળાટ થયો છે. એ યુવકોની કાર્યપધ્ધતિની સાથે મારે નિસ્બત નથી, બીજા કોઈ પણ હેતુને માટે ખૂન કરવુ તેના કરતા દેશને માટે કરવુ એ ઓછું નિંદનીય છે તેમ હું માનતો નથી. છતાં ભગતસિંહ અને તેના સાથીઓની દેશભક્તિ, હિમ્મત અને બલિદાન આગળ મારૂ શિર ઝુકે છે. આ યુવાનોને થયેલી ફાંસીની સજા બદલીને દેશનિકાલની કરવામાં આવે એવી લગભગ આખા દેશની માંગણી છતા સરકારે એમને ફાંસી દઈ દીધી છે, એ હાલનુ રાજતંત્ર કેટલુ હ્રદયશુન્ય છે એ પ્રગટ કરે છે.”



આપણે સમાધાન ન સ્વીકર્યુ હોત તો આપણો દોષ ગણાત અને ગયા વર્ષની બધી તપશ્ચર્યા ધોવાઈ જાત. આપણે તો હંમેશા સુલેહ માટે તૈયાર છીએ એટલુ જ નહી પણ ઉત્સુક છીએ. એટલે જ્યારે સુલેહ માટે દ્વાર ખુલ્લુ દેખાયુ ત્યારે આપણે તેનો લાભ લીધો. ગોળમેજી પરિષદમાં ગયેલા આપણા દેશબંધુઓને સંપુર્ણ જવાબદારીવાળા તંત્રની માંગણી કરી. બ્રિટિશ પક્ષોએ માંગણી સ્વીકારી. કોન્ગ્રેસ આગળ મુખ્ય ઠરાવ ગાંધી અવિર્ન કરારથી થયેલી સંધીને બહાલી આપવાનો હતો અને આ સંધિ નવજુવાનોને પસંદ પડી નહોતી તે વખતે કોંગ્રેસમાં નવજુવાનો મધ્યમમાર્ગી નેતા જવાહરલાલ નેહરુ હતા અને અંતિમમાર્ગી નેતા શ્રી સુભાષચંદ્ર બોઝ હતા એવુ કહેવાય. નહેરુને આ સંધિ એટલા માટે પસંદ નહોતી પડી કારણ કે એમના મુજબ આ સંધિમા પૂર્ણ સ્વરાજ્ના તત્વનો ત્યાગ થયેલો લાગતો હતો. તેમ છતાં ગાંધીજીની ભક્તિને લીધે અને તેમની સમજાવટને કારણે સંધિની બાબતમાં એમણે પોતાના મનને મનાવી લીધુ હતુ.

When will we understand Sardar Patel?

When we will understand Sardar Patel?


સરદારને સમજવા જરૂરી


 

વિઠ્ઠલભાઈ પટેલ ન હોત તો સરદાર ગાંધીજીને ન મળ્યાં હોત, ભારત હંમેશા વિઠ્ઠલભાઈ પટેલ નો આભારી રહેશે કે જેમના કારણે આપણને સરદાર જેવા રાજનેતા મળ્યાં, આજના રાજનેતાઓ સરદારની વાત કરતા થાકતા નથી એ સમયે સરદારે જે પરિસ્થિતિમાંથી દેશને ઉગાર્યો તેવી પરિસ્થિતિ જો આજકાલના નેતાઓ સમક્ષ હોત તો કદાચ તેઓ અંદર ખાને અંગ્રેજો સાથે સાંઠગાઠ સાધીને સીધી કે આડકતરી રીતે પોતાનું વર્ચસ્વ બનાવી અને દેશને ઔર ગુલામીમાં ધકેલી દીધો હોત. જોકે આજે પણ કાંઈ નવું નથી. જે રીતે આજકાલના નેતાઓ પોતાના ભથ્થા વધારવા માટે એક થઈ જાય છે અને જ્યારે પ્રજાની પરેશાની દુર કરવાની વાત આવે ત્યારે વિપક્ષ કાંઈ ઔર કહે અને સત્તાપક્ષ કાંઈ ઔર કહે.. પરંતુ પોતાના ભથ્થાં વધારવાની વાત હોય ત્યારે બધાજ નેતાઓની સરગમ એક સરખી ધુન વગાડતી હોય છે.મુળ વાત એ છે કે સરદાર સાહેબ જેવા રાજનેતાઓએ ક્યારેય પોતાના સ્વાર્થ માટે રાજનીતિ નથી કરેલ, પ્રજાના પ્રશ્નોને વાચા આપીને પ્રજાહિતમાંજ કાર્યો કરેલ છે.

 

જીનીવામાં છેલ્લા સમયે વિઠ્ઠલભાઈએ પોતાનું વસિયતનામું તૈયાર કરાવેલ અને ત્યાર પછી સરદાર સાહેબ અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે કડવાશ વધવા પામી, વિઠ્ઠલભાઈએ પોતાની વસિયતમાં આશરે સવા લાખ રુપિયા જેટલી રકમ સુભાષચંદ્ર બોઝને ફાળવેલ હતી જેનો હેતુ ભારત બહાર વસતા ભારતિયોમાં રાજકીય જાગ્રુતિ લાવવાનો હેતુ હતો. જે બાબતે સરદાર સાહેબ અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે વિખવાદ થયો અને આ વસિયતનામું કોર્ટમાં ચેલેંજ કરવામાં આવ્યુ અને જે સુપ્રિમ કોર્ટ સુધી ઘસડાયુ અને સરદાર સાહેબ જીત્યા પણ ખરા તે પછી પરિવારના સભ્યો તથા કોંગ્રેસ મહાસભાની સમક્ષ એવી શરત સાથે રકમ સોંપવામાં આવી જેમા વિઠ્ઠલભાઈ પટેલ મેમોરિયલ ટ્રસ્ટની રચના કરી, આ ટ્રસ્ટ દ્વારા વિઠઠલભાઈના ઉદ્દેશોની પુર્તિ માટે નાણાં વપરાય. આ પ્રસંગે એક વાત સમજવા જેવી છે. કે સરદાર ક્યારેય અન્યાય સહન કરે તેવી વ્યક્તિ નહોતા, સામે ગમે તે વ્યક્તિ હોય તે પોતાનો ગમો અણગમો વ્યક્ત કર્યા વગર રહેતા જ નહી. સરદાર સાહેબને પોતાના માટે નાણાંની જરૂર નહોતી તેમ છતાં વિઠ્ઠલભાઈના વસિયત માટે લડ્યા અને જીત્યા.

 

શ્રી દિનકર જોશીએ “મહાનાયક સરદાર” માં જણાવેલ પ્રસંગ ખુબ જ સમજવા જેવો છે. ૧૯૪૬ના આરંભમાં મુંબઈ દરિયાકાંઠે લાંગરેલ ભારતીય નૌકાદળોના જહાજોના હિંદી સૈનિકોના બળવાએ જે પરિસ્થિતિ પેદા કરેલ તે શાંત કરવા સરદારે જે ભુમિકા ભજવી તેની નોંધ બહુ લેવાઈ નથી પરંતુ પ્રસંગ તો જાણવા જેવો ખરો. બીજા વિશ્વયુધ્ધની તલવારો થોડા સમય પહેલાં જ મ્યાન થયેલ અને જેમાં વિજેતા થયેલ બ્રિટીશ યુધ્ધજહાજો મુંબઈ તથા કરાંચી બંદરેથી થોડે દુર લાંગરેલ, આ જહાજોમાં રોયલ નેવીનું “તલવાર” નામનુ એક જહાજ પણ હતુ જેમા નૌસૈનિકોની સાથે સાથે તાલીમાર્થીઓ પણ હતા, આ તાલીમાર્થીઓમાં કપ્તાને ગોરા તથા બિનગોરા એમ બે વિભાજન કરેલ જે દેખીતી રીતે બિનગોરા એટલે હિંદુસ્તાનના લોકો જ હોઈ તેવો અર્થ થતો. અને આથી જ ગોરા અને બિનગોરાઓને અપાતી સુવિધાઓમાં ખુબજ અંતર હતુ. આથી બિનગોરા તાલીમાર્થીઓએ ગોરા અફસરોનું ધ્યાન આ બાબતે પહેલા મૌખિક ત્યાર પછી આવેદન પત્ર દ્વારા દોરવામાં આવ્યુ પરંતુ તેનો જવાબ તોછડાઈથી આપવામાં આવ્યો અને તેઓને બહાર હાંકી કાઢવામાં આવ્યા. આથી સમસમીને ભુખ હડતાલ શરૂ કરી અને જહાજ ઉપર રહેલ દરેક હિંદી સૈનિકોને આ બાબતે જોડાવા વિનંતિ કરવામાં આવી, આવામાં કમાંડર ખાન અને કમાંડર દત્ત નામના બંગાળી સૈનિકની સહાયથી જહાજ તલવાર ઉપર રહેલ દરેક સૈનિકને એકત્રિત કરવામાં આવ્યા જેને એક બળવાનું સ્વરુપ ધારણ કરતા વાર ન લાગી. આ દર્મ્યાન બે હિંદી સૈનિકોએ એક ગોરા અફસરને લમણે ગોળી ધરબી દીધી. જે ગોરા ઓફિસરો માટે આ અણધાર્યો હુમલો હતો. અને સરવાળે ગોરા અફસરોની સંખ્યા પણ ખુબ ઓછી હતી. આથી સૈનિકોએ ગોરા અફસરોને કાંતો મારી નાખ્યા કાંતો બંદી બનાવી લીધા. અને જહાજ ઉપરથી બ્રિટિશનો ઝંડો ઉતારી કોંગ્રેસ તથા મુસ્લિમ લીગ એમ બન્ને ઝંડા લગાવવામાં આવ્યા. આ વાત વાયુ વેગે કરાંચી બંદરે પહોચી અને જ્યારે કરાંચી જહાજના નોસૈનિકોએ જાણ્યુ ત્યારે તેઓએ પણ જહાજ કબ્જે કરી લીધું અને ત્યાં પણ ભારે અફડાતફડી થઈ ગઈ.

આ રીતના બળવાને કોઈ પણ સરકાર સહન ન કરી શકે અને આથી જ નૌસનિકોને શસ્ત્રો મ્યાન કરી શરણે થવાના આદેશો આપવામાં આવ્યા પરંતુ અરુણા આસફઅલી અને અચ્યુત પટવર્ધને આગમાં ઘી હોમવાનું કામ કર્યુ અને આ બળવાને પોતાનું સમર્થન જાહેર કર્યુ, સાથે સાથે સરદારને મળીને આ બળવાનું નેતૃત્વ કરવાની વિનંતી સુધ્ધા પણ કરી. આ સમયે સરદાર મુંબઈમાં જ હતા જેથી તેઓ દરેક ઘટનાથી વાકેફ હતા. અને સરદાર સમજતા હતા કે જે બ્રિટિશ સરકાર પોતાના બિસ્ત્રરા પોટલા બાંધીજે દેશ છોડી દેવા તૈયાર થયી છે તે આવા બળૅવા ના કારણે પોતાનો વિચાર માંડી વાળી આ બળવાને પોતાની વિરાટ તાકાતથી કચડી નાંખવા તૈયાર થઈ જશે અને આઝાદી મેળવવાની એક ઔર તક ભારત ગુમાવી દેશે. આથી તેમણે અરુણા આસફઅલી તથા અચ્યુત પટવર્ધનને જણાવ્યુ કે તમે આ બળવાખોર નૌસૈનિકોનું અહિત તો કરી જ રહ્યા છો પરંતુ સાથે સાથે તમે દેશનું પણ અહિત કરી રહ્યા છો. અને આથી જ હું તમારી સાથે નથી અને બ્રિટિશ શાસને આ બળવો દબાવી દેવો જોઈએ તે હું દ્રઢપણે માનું છુ અને આ નૌસિનિકોને મળીને હુ તેઓને પરિસ્થિતિથી વાકેફ કરવા માંગુ છું.

 

આના જવાબમાં અરુણાએ કહ્યુ કે જો તમે હિંદિ નૌસૈનિકોના અપમાન સામે નેતૃત્વ નહી લો તો મારે ના છુટકે જવાહરલાલને અહી બોલાવવા પડશે. જવાબમાં સરદારે કહ્યુ કે જવાહરલાલને આ બાબતમાં વચ્ચે ન લાવો અને હું પોતે જવાહરલાલને અહીયા ન આવવા માટે તાર કરીશ. પરંતુ અરુણા ન માન્યા અને તેમણે મુંબઈમાં આ બળવાનું સમર્થન કરવા માટે એક જાહેર સભા યોજી અને આ સભામાં ગોળી બાર પણ થયો અને ખુબ જ અરાજકતા સાથે આશરે બસ્સોથી વધારે માણસોનો ભોગ લેવાયો. આ બે દિવસમાં ઘણું બદલાઈ ગયું. અને જવાહરલાલનો તાર પણ આવ્યો અને જે સરદારની સલાહથી એકદમ વિપરીત હતો. અને તેઓ અરુણાના કહેવાથી મુંબહી આવવા તૈયાર થઈ ગયા, સરદારને આ જરાય ગમ્યુ નહી અને જવાહરલાલના આવતા પહેલા આ બળવાને શાંત પાડવાનો નિર્ધાર કર્યો અને આથી તેમણે મુંબઈ ગવર્નરને વિનંતિ કરી કે નૌસૈનિકોને મળવાની મંજુરી આપવામાં આવે મુલાકાત માટે ગોઠવણ કરવામાં આવે. પરંતુ ગવર્નરે આ વિનંતી સ્વીકારી નહી અને જવાબમાં કહ્યુ કે આ વિકટ પરિસ્થિતિમાં સરદારને સુરક્ષા જાળવવી અઘરી બની જાય અને સૈનિકો ભાન ભુલ્યા છે. સરદારને ક્યાક કોઈ નુકસાન કરી બેસે તો મામલો ઔર ઘુચવણમાં મુકાઈ જાય. આના પ્રતિયુત્તરમાં સરદારે જણાવ્યુ કે બળવાખોરોના પ્રતિનિધિને મારી પાસે મોકલવામાં આવે અને જહાજ પરથી તેઓ મને મળે અને મુલાકાત બાદ તેઓને સુરક્ષિત પરત જહાજ ઉપર મોકલી આપવાની વ્યવ્સ્થા કરી આપવામાં આવે. આ વાત સરકારને ગળે ઉતરી અને સરદારે પોતાના વિશ્વાસુ સાથીઓ મારફતે જહાજ ઉપર સંદેશો મોકલ્યો અને બળવાખોરો તો સરદારને મળીને પોતાની રજુઆત કરવા માંગતા જ હતા પરંતુ તેઓને ડર હતો કે સરદારને મળવા જતા બ્રિટિશ સરકારનો શિકાર ન બની જઈએ. પરંતુ સરદારે તેમની સુરક્ષાની બાહેધરી આપી અને કમાંડર ખાન તથા કમાંડર દત્ત સરદારને મળ્યા.

 

સરદારે જણાવ્યુ કે ૧૮૫૭ના બળવામાં આપણે નિષ્ફળ નિવડ્યા અને જેના પરિણામ સ્વરુપે સૈકાથી પણ વધારે સમયથી ગુલામી સહન કરી રહ્યા છીએ, અને આ ભુલનું પુનરાવર્તન તમારે ફરી કરવુ છે? આવો અણધાર્યો સવાલ સાંભળીને બન્ને કમાંડરો તો હબક રહી ગયા. તેઓને તો એમ હતુ કે સરદાર તેમના સુરમાં સુર પુરાવશે અને કહ્યુ કે સરદાર સાહેબ આ ગોરાઓ યુધ્ધવિજયના મદમાં રાચતા રાચતા ખુબ તુમાખીદાર બન્યા છે તેમને સીધા કર્યા વગર છુટકો જ નથી. સરદારે તેમને ખભે હાથ મુકીને સાંત્વના આપતા કહ્યુ કે વાત સાવ સાચી છે તેમને સીધા કરવા જ જોઈએ પરંતુ શુ આપણે વાંકા થઈને તેમને સીધ કરીશું ? બન્ને કમાંડરે એક સાથે પુછ્યુ કે એટલે?

 

સરદારે કહ્યુ કે આખા દેશની સહાનુભુતી તમારી સાથે છે પરંતુ એક વાત જરા સમજો કે તમારી લડાઈમાં તમે મુઠ્ઠીભર સૈનિકો છો જેમની પાસે થોડાક શસ્ત્રો છે અને વિરાટ શક્તિ સામે લડવાનું છે. કેટલો સમય તમે ટકી શકશો? આપણા શૌર્યની લડત એવી હોવી જોઈએ કે જેથી દુશ્મન નો નાશ થવો જરૂરી છે. પરંતુ અહીયા આપણો નાશ થશે તો આ લડાઈનું ભવિષ્ય શું? સરદારની ભવિષ્યવાણી અને સચ્ચાઈ સાંભળીને બન્ને કમાંડરને પરિસ્થિતિની ગંભીરતા સમજતા વાર ન લાગી. અંગ્રેજી નૌકાદળતો ઠીક પરંતુ જો વાયુદળ હુમલો કરે તો પળવારમાં આ મામલો નિપટાઈ જશે.

 

તમે તમારા શસ્ત્રો હેઠા મુકો તમારી સાથે પુરેપુરો ન્યાય થાય અને બળવાખોરો પ્રત્યે ઉદારતા દેખાડવામાં આવે તેવા તમામ પ્રયત્નો હું કરીશ. શસ્ત્રો હેઠા મુકવામાં જ સહું નુ કલ્યાણ સમાયેલ છે. બન્ને કમાંડરોએ સરદારની વાતનો મર્મ સમજીને જણાવ્યુ કે સરદારસાહેબ આપના માર્ગદર્શનનો અમે સ્વીકાર કરીએ છીએ અને આપ અમને પરત જહાજ ઉપર પહોચડવાની વ્યવસ્થા કરો અમે યુનિયન નો દ્વજ ફરકાવી દઈશુ.

 

સરદાર પોતે લોકોને ગેરમાર્ગે જતા અટકાવવાની સાથે સાથે દેશહિતમાં જે યોગ્ય હોય તેવાજ નિર્ણયો લેતા તેઓ  ક્યારેય શેહ શરમ નહોતા ભરતા. પરંતુ પરિસ્થિતિની ગંભીરતા સમજીને શક્ય હોય તે બધુ જ કરી છુટતા.

 

 

Sardar Sneh - 3 - Father Jhaverbhai

કથા સરદારની (3)

પિતા ઝવેરભાઈ.


આજે આપણે સરદાર સા.ના પિતાશ્રી ઝવેરભાઈના ચરિત્ર વિશે જાણશું.ઉત્તર ભારતમાંથી ચરોત્તરમાં વસેલ આ ખડતલ ખેડુતે કરમસદ ગામને સન૧૮૫૦ની પૂર્વે જાતમહેનતથી આબાદ બનાવેલ.મહી તથા શેઢી નદીની વચ્ચે કાળી જમીનમાં કાચું સોનું પેદા કરનાર ઝવેરભાઈ નેકદિલ ઇન્સાન હતા. રેતાળ જમીનમાં છાણ માટીના ગાડા ઠાલવીને આ ખેડુતે ખેતી કરી જમીનના માલીકી હક્ક પણ મેળવી લીધેલ.એ સમયે પટેલોના વહેવારમાં ગોળપ્રથા હતી.ઝવેરભાઈના નામની વહેવારમાં તથા આ છ ગોળ ગામમાં હાંક વાગતી.કરમસદ, નડીયાદ, સોજીત્રા , ધર્મજ, ભાદરણ તથા વસો આ છ ગામનો છ ગોળ હતો.
૧૮૫oમાં ઝવેરભાઇને ત્રણ માળનું બે વિધામાં મકાન હતું.ભોયતળીયે રવેશમાં હીંચકા હતા. અને એમાં સૌ ભાઇઓ અને ગામના પટેલો બેસતાં અને પટલાઇ કરતાં.બધાને સુવા, બેસવાના અલગ ઓરડા, રસોડું, રેણઘર, કોઠાર ,નીણઘર એવી વ્યવસ્થા હતી.મકાનની દિવાલ ઉપર મહાભારત અને અંગ્રેજો સામે લડતા હિન્દી પ્રજાના ચિત્રો દોરેલ હતા.
કથા એવી છે કે ૧૮પ૭માં ઝવેરભાઈ ઘર છોડીને ઝાંસીની રાણી લક્મીબાઈના લશ્કરમાં અંગ્રેજો વિરૂદ્ધ લડવા માટે જોડાયેલ. ગુલામીને નોતરું આપનાર અભિમાની રાજાઓ તથા અંગ્રેજોની વાતો તથા પોતે કરેલા સાહસની વાતો ઝવેરભાઈએ બાળક વલ્લભને ખેતરમાં ખેડ કરતાં સંભળાવીને બાળક વલ્લભમાં વીરતા અને શોર્યના સંસ્કાર સિંચેલ.
ઝવેરભાઈ સ્વામીનારાયણ સંપ્રદાયના સેવક હતા.એમ કહેવાય છે કે શાસ્ત્રીજી મહારાજ વડતાલ છોડીને સૌ પ્રથમ ઠાકોરજી ઝવેરભાઈને ધેર પધરાવે છે.આજના BAPS ની પવિત્ર શરૂઆત ઝવેરભાઈને ધેર થયેલ અને ઠાકોરજી ત્યાં બિરાજેલ.આ ઝવેરભાઈ અંતના સમયમાં મંદિર અને સંતોની સેવામાં જ રહેલા.
પોતાનાં બાળકોને રાષ્ટ્પ્રેમ શિખડાવનાર ઝવેરભાઇએ આ દેશને વલ્લભભાઈ જેવાં મહાન સપૂત આપ્યાં એ વાતના સ્મરણ સાથે આ સાચા ખેડુતને વંદના અને શ્રદ્ધાંજલિ.

(સં.ભીમજી ખાચરિયા, જેતપુર.૨૩/૬/૧૮) +919913343533
© all rights reserved
SardarPatel.in