Speech of Sardar Patel at Karachi as Congress President - કરાંચી કોંગ્રેસના પ્રમુખ - સરદાર પટેલ | Vithalbhai Patel, Sardar Patel

Speech of Sardar Patel at Karachi as Congress President - કરાંચી કોંગ્રેસના પ્રમુખ - સરદાર પટેલ

0

કરાંચી કોંગ્રેસના પ્રમુખ – માર્ચ ૧૯૩૧



જે વખતે વાઈસરોય સાથે વાટાઘાટો ચાલતી હતી તે વખતે જ કારોબારીના સભ્યો આવતી કોંગ્રેસ ક્યા અને ક્યારે ભરવી તેનો વિચાર કરી રહ્યા હતા. લાહોરની કોંગ્રેસમાં એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે દર વર્ષે નાતાલના સમયે કોંગ્રેસ ભરાય છે અને તે દિવસો દરમ્યાન ટાઢ વધુ હોવાથી, માર્ચ મહિનામાં કોંગ્રેસની સભા ભરવી. આ વર્ષ દરમ્યાન લડત ચાલતી હોવાથી દરેક પ્રાંતની કોંગ્રેસ સમિતિઓ પ્રમુખની તેમજ પ્રતિનિધિઓની ચુંટણી શક્ય ન હોવાથી કારોબારીમાં ઠરાવ થયો કે જો પ્રાંતિય સમીતિઓ સમાધાન કરે તો કરાંચીમાં કોંગ્રેસની સભા ભરવી અને તેનું પ્રમુખ પદ સરદાર પટેલને સોંપવું. પ્રતિનિધીઓની બાબતમાં એવો ઠરાવ કર્યો કે પ્રાંતિય સમિતિઓ ચુંટવાના સભ્યોમાં અડધા પોતાના સભ્યો તથા બાકી અડધા જેલમાં ગયેલ પોત પોતાના પ્રાંતના સભ્યોમાંથી ચુંટે.



માર્ચ ૧૯૩૧ના છેલ્લા અઠવાડિયામાં કોંગ્રેસ કરાંચીમાં ભરવાનું નક્કી કરવામાં આવ્યું, એટલે કરાંચીના લોકોને તૈયારી કરવા માટે ખુબ ઓછા દિવસો હતા, પણ ત્યાંની મ્યુનિસિપાલિટીના પ્રમુખશ્રી જમશેદ મહેતાના સહકારના કારણે અને ડો. ચોઈથરામ તથા સિંધના નિરાભિમાની અને નિષ્ઠાવાન કાર્યકર્તા શ્રી જયરામદાસજીની વ્યવસ્થાને કારાણે કરાંચીમાં વ્યવસ્થા સરસ રીતે થઈ. તૈયારી માટે પુરતો એક મહિનો ન હોવા છ્તાં ત્યાં વસતા ગુજરાતીઓએ પણ તેમાં પુરો ફાળો આપ્યો હતો, હજ્જારો માણસોની રહેવાની તથા નિત્યકર્મની વ્યવસ્થા આદર્શ ગણાય એવી કરવામાં આવી.



કરાંચીની કોંગ્રેસની સભા ખુબ જ તંગ વાતાવરણમાં થઈ હતી, સરકાર સાથે કરવામાં આવેલ સમાધાનથી નવજુવાનિયાઓમાં ભારોભાર અસંતોષ હતો. સમાધાનની શરતો મુજબ જે લોકો જેલમાંથી છુટવા જોઈતા હતા તેવા બધા કેદીઓ અમલદારોની આડખીલીઓને લીધે હજી છુટ્યા નહોતા. તથા બંગાળ તથા બીજા કેટલાય પ્રાંતોમાં મોટી સંખ્યામાં કેદીઓની અટકાયત કરવામાં આવેલી અને અમુક લોકોને નજરકેદમાં રાખેલ હતા. તેઓ સત્યાગ્રહની લડતને કારણે પકડાયેલ નહોતા પરંતુ રાજદ્વારી કેદીઓ તો હતા જ. અને સમાધાનમાં તેમને છોડાવવાની કોઈ જોગવાઈ થઈ શકી નહોતી, તથા નારજગીનું સૌથી મોટું કારણ તો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ કે જેઓને પંજાબના એક અમલદારના ખૂન કરવા બદલ ૧૯૨૮ના લાહોર કાવતરા કેસમાં ફાંસીની સજા થી હતી અને તેઓને ફાંસી ન આપવામાં આવે તેવી સૌ નવજુવાનિયાઓની માંગણી હતી. વાઈસરોય સાથેની ચર્ચામાં ગાંધીજીએ એમને ફાંસી ન આપવામાં આવે તે માટે વાઈસરોયને સમજાવવામાં કાંઈ બાકી નહોતુ રાખ્યુ, પરંતુ વાઈસરોય ફાંસી અટકાવવા તૈયાર જ નહોતા અને વાટાઘાટો સત્યાગ્રહની લડત અંગેની હોવાથી ગાંધીજી સંધિની શરતોમાં એ મુકી શકતા નહોતા, વળી ભગતસિંહ પોતે એવો બહાદુર યુવાન હતો કે તેણે વાઈસરોયને દયાની અરજી કરવાની સાફ ના પાડી હતી અને કહ્યુ કે મે તો દેશની સ્વતંત્રતાની લડતમાટે એક શત્રુનું ખૂન કર્યુ છે, માટે સરકાર પણ મને શત્રુ ગણી ભલે ગોળી મારી દે, કે મને ફાંસીએ લટકાવે. ભગતસિંહે તો આવા બહાદુરી તથા હિમતવાળા વર્તનથી નવજુવાનિયાઓના હ્રદય જીતી લીધા હતા અને વાઈસરોયે ગાંધીજીને એટલુ જ કહ્યુ કે તમે ચાહતા હો તો કરાંચીની કોંગ્રેસ સભા પુરી થઈ જાય પછી ફાંસીની સજા દેવાય તેવી વ્યવ્સ્થા કરી શકું, પરંતુ ગાંધીજીએ વાઈસરોયને વિનંતિ કરી કે તમે નવજુવાનોના હ્રદય પર સારી અસર કરવાની એક તક ગુમાવી રહ્યા છો. પરંતુ તમારે એ કરવુ નથી આથી જો તમારે ફાંસી દેવાની જ હોય તો કરાંચીની સભા પહેલા જ આપો જેથી મારે અને સરદાર પટેલને નવજુવાનોનો રોષ વહોરવાનો હોય તે અમે વહોરીએ.



છેવટે કરાંચી અધિવેશન ના થોડા દિવસ પહેલા જ એટલે કે ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ભગતસિંહ અને તેમના સાથીઓને ફાંસી અપાઈ, નવજુવાનો ખુબ જ ઉશ્કેરાયા. ગાંધીજી અને સરદાર પટેલ કરાંચી પહોચ્યા તે વખતે નવજુવાનોએ તેમની આગળ કાળા વાવટા અને કાળા ફુલો ધરી પોતાનો વિરોધ દર્શાવવા ઈચ્છતા હતા. ગાંધીજી અને સરદાર પટેલે તેઓને રોક્યા નહી બલ્કે તેઓને સૌથી પહેલા બોલાવી તેમના રોષનો આદર કર્યો અને જણાવ્યુ કે તેઓને રોષ કરવાનો હક્ક છે. અને નવજુવાનોના દિલમાં રોષ ની સાથે સાથે સરદાર પટેલ તથા ગાંધીજી પ્રત્યે અનાદર તો નહોતો જ, માત્ર પોતાની લાગણીઓનો ઉભરો તેમની આગળ ઠાલવવો હતો. અને જ્યારે ગાંધીજી તથા સરદાર પટેલે તેઓને રોષ પ્રગટ કરવાની પુરેપુરી તક આદર સાથે આપી ત્યારે નવજુવાનિયાઓ શરમાયા.



સરદાર પટેલનું પ્રમુખ તરીકેનું ભાષણ બહુ ટુંકુ હતુ, પોતાને કોંગ્રેસના પ્રમુખ નીમવામાં આવ્યા તે પોતાની નહી પરંતુ ગુજરાતની કદર કરવા માટે છે. સાથે સાથે તેમણે જે કહ્યુ તે દરેકે સમજવા જેવું છે.



“મારા જેવા સીધાસાદા ખેડૂતને તમે દેશના પ્રથમ સેવકના પદને માટે ચુંટ્યો તે મારી સેવાની કદર કરતા ગુજરાતે ગયા વર્ષના યજ્ઞમાં જે અદ્ભુત બલિદાન આપ્યા તેની કદર કરવાને અર્થે છે, તે હુ સારી રીતે સમજુ છુ, ગુજરત પ્રાંતને એ માનને માટે તમે પસંદ કર્યો એ તમારી ઉદારતા છે બાકી સાચી વાતતો એ છે કે આ જમાનાની અપૂર્વ જાગૃતિના ગયા વર્ષ્માં કોઈ પ્રાંતને બલિદાન આપવમાં કોઇ કચાશ રાખી નથી. દયાળુ પ્રભુ નો પાડ છે કે એ જાગૃતિ સાચી આત્મ શુધ્ધિની હતી.”



ભગતસિંહની ફાંસી વિષે બોલતા કહ્યુ : “નવજુવાન ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને થોડા જ દિવસ ઉપર ફાંસી મળી છે તેથી દેશને પારાવાર ઉકળાટ થયો છે. એ યુવકોની કાર્યપધ્ધતિની સાથે મારે નિસ્બત નથી, બીજા કોઈ પણ હેતુને માટે ખૂન કરવુ તેના કરતા દેશને માટે કરવુ એ ઓછું નિંદનીય છે તેમ હું માનતો નથી. છતાં ભગતસિંહ અને તેના સાથીઓની દેશભક્તિ, હિમ્મત અને બલિદાન આગળ મારૂ શિર ઝુકે છે. આ યુવાનોને થયેલી ફાંસીની સજા બદલીને દેશનિકાલની કરવામાં આવે એવી લગભગ આખા દેશની માંગણી છતા સરકારે એમને ફાંસી દઈ દીધી છે, એ હાલનુ રાજતંત્ર કેટલુ હ્રદયશુન્ય છે એ પ્રગટ કરે છે.”



આપણે સમાધાન ન સ્વીકર્યુ હોત તો આપણો દોષ ગણાત અને ગયા વર્ષની બધી તપશ્ચર્યા ધોવાઈ જાત. આપણે તો હંમેશા સુલેહ માટે તૈયાર છીએ એટલુ જ નહી પણ ઉત્સુક છીએ. એટલે જ્યારે સુલેહ માટે દ્વાર ખુલ્લુ દેખાયુ ત્યારે આપણે તેનો લાભ લીધો. ગોળમેજી પરિષદમાં ગયેલા આપણા દેશબંધુઓને સંપુર્ણ જવાબદારીવાળા તંત્રની માંગણી કરી. બ્રિટિશ પક્ષોએ માંગણી સ્વીકારી. કોન્ગ્રેસ આગળ મુખ્ય ઠરાવ ગાંધી અવિર્ન કરારથી થયેલી સંધીને બહાલી આપવાનો હતો અને આ સંધિ નવજુવાનોને પસંદ પડી નહોતી તે વખતે કોંગ્રેસમાં નવજુવાનો મધ્યમમાર્ગી નેતા જવાહરલાલ નેહરુ હતા અને અંતિમમાર્ગી નેતા શ્રી સુભાષચંદ્ર બોઝ હતા એવુ કહેવાય. નહેરુને આ સંધિ એટલા માટે પસંદ નહોતી પડી કારણ કે એમના મુજબ આ સંધિમા પૂર્ણ સ્વરાજ્ના તત્વનો ત્યાગ થયેલો લાગતો હતો. તેમ છતાં ગાંધીજીની ભક્તિને લીધે અને તેમની સમજાવટને કારણે સંધિની બાબતમાં એમણે પોતાના મનને મનાવી લીધુ હતુ.


No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in